ઝિમ્બાબ્વે પ્રવાસની પહેલી મેચમાં ભારતે સરળતાથી જીત મેળવી હતી. જેમાં તેના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષર પટેલ (Axar Patel), દીપક ચહર (Deepak Chahar) અને પ્રસિદ્ધ ક્રૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. મેચ બાદ ચહર અને પટેલ મેચ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. અહીં જ દીપક ચહરે કહ્યું કે આગામી સમયમાં અક્ષર પટેલ ભારતના સ્પિનર બોલર યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) જગ્યા લેવા જઈ રહ્યો છે.
મેચ બાદ ચહર અને પટેલ એકબીજાનું ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. ચહરે પટેલને કહ્યું કે હવે તમે યુઝવેન્દ્ર ચહલની જગ્યા લીધી છે. વાસ્તવમાં ચહલ દરેક મેચ પછી ખેલાડીઓ સાથે વાત કરતો હતો અને તેને તેનું નામ ચહલ ટીવી રાખ્યું હતું. ચહરના સવાલના જવાબ આપતા તેને કહ્યું, ‘ના, તે તેની જગ્યા લઈ શકે નહીં, ચહલ ટીવી પણ ચાલે છે.’ ચહરે પટેલને પ્રોત્સાહિત કરતા કહ્યું કે કોઈ વાંધો નથી, દરેકનો સમય આવે છે. અક્ષરે ફરી કહ્યું કે હા તેનો સમય આવશે.
આ ઈન્ટરવ્યુમાં અક્ષર પટેલે દીપકને તેના પરત ફરવા વિશે પૂછ્યું હતું. દીપકે કહ્યું, ‘સાડા છ મહિનાથી મેદાનથી દૂર હતો. હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે હું રમીશ, મારો સમય પણ ખરાબ ચાલી રહ્યો હતો પરંતુ હવે મને સારું લાગી રહ્યું છે. ફેન્સે પણ ખૂબ જ સારું સ્વાગત કર્યું.’ દીપકે સાત ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ચહરે કહ્યું કે શરૂઆતમાં તેને પકડ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. પરંતુ એકવાર તમે લયમાં આવી ગયા પછી, વિકેટ મેળવવી સરળ બની જાય છે. આ પ્રદર્શન બાદ દીપકને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 2016માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો ત્યારે પણ અક્ષર પટેલ અને કેએલ રાહુલ ટીમનો ભાગ હતા. ચહરે પણ તેને આ વાતનો ટોણો માર્યો કે તમે કેટલા અનુભવી છો. અક્ષરે આનો જવાબ આપ્યો કે તે જાણતો નથી કે તે અનુભવી છે કે નહીં. ફેન્સને પણ આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.