એશિયા કપ 2023 (Asia Cup 2023)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. બધાની નજર આ મેચ પર હતી. પરંતુ વરસાદે (Rain) આ મેચની મજા બગાડી નાખી. આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને બંને ટીમોએ એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. આ મેચમાં માત્ર ભારતીય ટીમ (Team India) જ બેટિંગ કરી શકી અને ત્યારબાદ બીજી ઈનિંગમાં વરસાદ આવ્યો જેના કારણે મેચ રમાઈ શકી નહીં.
આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ બાદ પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે, પરંતુ ભારત માટે રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.
ભારતે હવે તેની આગામી મેચ નેપાળ સાથે રમવાની છે. આ મેચ સોમવારે રમાશે. સુપર-4માં જવાની ભારતની આશા આ મેચ પર ટકેલી છે. રોહિત શર્માની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ ભોગે તે જીતવા ઈચ્છે છે, નહીં તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ એશિયા કપમાં બે ગ્રુપ છે. બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર-4માં જશે. ભારતની પ્રથમ મેચ રદ્દ થયા બાદ નેપાળની મેચ તેમના માટે ઘણી મહત્વની બની ગઈ છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ભારતની આ મેચ પણ પલ્લેકેલેમાં જ રમાવાની છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જો નેપાળની મેચ વરસાદને કારણે રદ્દ થશે તો એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.
આ પણ વાંચો : Asia Cup 2023: રોહિત શર્માની પાછળ પડ્યો કેમેરામેન, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થયો ગુસ્સે, જુઓ Video
પરંતુ જો નેપાળ ભારતને મોટા અપસેટમાં હરાવશે તો નેપાળની ટીમ સુપર-4માં જશે અને ભારત બહાર થઈ જશે. ગ્રુપ-Aમાં પાકિસ્તાનની ટીમ બે મેચમાં એક જીત અને એક ડ્રો સાથે ત્રણ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ભારત એક પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નેપાળની ટીમનું ખાતું પણ ખૂલ્યું નથી. જો ભારત અને નેપાળ વચ્ચેની મેચ પણ ડ્રોમાં સમાપ્ત થાય છે તો નેપાળને માત્ર એક પોઈન્ટ અને ભારતના બે પોઈન્ટ હશે.આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી જશે.
જો ભારતીય ટીમ સુપર-4માં સ્થાન મેળવે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મુકાબલો જોવા મળી શકે છે. સુપર-4માં તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે. એટલે કે દરેક ટીમ સુપર-4માં ત્રણ મેચ રમશે. આ પછી ટોપ-2 ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.જ્યાં પર બંને ટીમોની ટક્કર થઈ શકે છે.