ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર મોરબી સિવીલ હોસ્પિટલની ( Morbi Civil Hospital) ખસ્તા હાલત અંગેનો અહેવાલ પ્રસારીત કર્યા હતો. આ અહેવાલ પ્રસારીત થયાની ગણતરીની મિનીટોમાં જ મોરબી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ સિવીલ હોસ્પિટલ દોડતા આવી પહોચ્યા હતા.
દરમિયાન સિવીલ હોસ્પિટલ સંકુલમાં ઉપસ્થિત ભાજપના પૂર્વ ધારાસભ્ય ( former BJP MLA) કાંતિ અમૃતિયાએ, મોરબીના જિલ્લા કલેકટર જે બી પટેલ ઉપર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીગણની સામે જ જાહેરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જિલ્લા કલેકટરને કહ્યું કે તમે રૂપિયા ખાવ છો.
જો કે આ આક્ષેપ કરતા તેઓ એ ભૂલી ગયા કે, ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે. આ સરકાર સરાજાહેર કહેતી આવી છે કે અમારી સરકાર ભ્રષ્ટાચાર વિહીન સરકાર છે. હવે જો સરકાર ભ્રષ્ટાચાર વિહીન હોય તો, ભાજપની સરકારે પોતાના જ પૂર્વ ધારાસભ્યે કરેલા આક્ષેપને સાચો ગણીની કલેકટર સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ અન્યથા પૂર્વ ધારાસભ્ય સામે પક્ષીય રીતે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ.
આ ઘટના બાદ મોરબી સિવીલ હોસ્પિટલના સંકુલમાં છાનેખુણે ચર્ચા થતી હતી કે, મોરબીન વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેની રાજકીય લડાઈમાં હાલ સરકારી અધિકારીઓની ખો નિકળી રહી છે. પૂર્વ ધારાસભ્યે જાહેરમાં કલેકટર રૂપિયા ખાય છે તેમ કહીને કલેકટર ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનું કહીને કલેકટરના કપડા ઉતારી લીધા છે.
ટીવી9 ગુજરાતી ઉપર મોરબી સિવીલ હોસ્પિટલની હાલત વેન્ટિલેટર ઉપરના દર્દી જેવી હોવાનો અહેવાલ પ્રસારીત કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી એમ્બ્યુલન્સમાં દર્દીઓને લાવવા લઈ જવા જેવી હાલતમાં ના હોવાનો અહેવાલ હતો. સિવીલ હોસ્પિટલમાં ચાર એમ્બ્યુલન્સ હોવા છતા માત્ર બેનો જ ઉપયોગ કરી શકાય તેવી હાલત હોવાનો અહેવાલ પ્રસારીત કર્યો હતો.
ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2013માં મોરબીને અલગ જિલ્લો જાહેર કર્યો હતો. ત્યાર બાદ જિલ્લાકક્ષાએ મળતી તમામ સુવિધાઓ તબક્કાવાર ફાળવવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષમા મોરબી જિલ્લામાં આરોગ્ય સહીતની સેવાઓ સાવ કથળી ગઈ હોવાની વાત અવારનવાર ટીવી9 ગુજરાતી ન્યુઝ ચેનલ મારફતે રજુ કરાતી આવી હતી.
દરમિયાન મોરબી સિવીલ હોસ્પિટલના સંકુલમાં એવી પણ વાત ચર્ચાઈ રહી હતી કે, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજા વચ્ચે મનમેળ નથી. બ્રિજેશ મેરજા કોંગ્રસમાંથી ભાજપમાં આવ્યા છે. અને ભાજપે કાંતિ અમૃતિયાની નારાજગી વચ્ચે કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા મેરજાને ભાજપની ટિકીટ ઉપર પેટાચૂંટણીમાં જીતાડીને ધારાસભ્ય બનાવ્યા હતા.
Published On - 2:46 pm, Wed, 7 April 21