દાહોદ જિલ્લાના ઝાલોદના ભાજપ કાઉન્સિલર હિરેન પટેલના મોતનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. મૃતક હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરાવી હોવાનું ખુલતા લોકોના ટોળા ઉમટયા હતા. હિરેન પટેલના સમર્થકોએ ઝાલોદના મુખ્ય બજાર બંધ કરાવ્યા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો. જોકે, લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા હજુ તપાસ વધુ મજબુત કરવાની ખાતરી અપાતા લોકો શાંત થયા હતા. અને, પોલીસની સમજાવટ બાદ લોકોના ટોળા વિખેરાયા હતા. ઝાલોદ નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર હિરેન પટેલની ચાર લાખની સોપારી આપીને હત્યા કરાવવામાં આવી હતી. આ સોપારી આપનાર અજય કલાલ સામે લોકોમાં ભારોભાર ગુસ્સો છે.
ઝાલોદ કાઉન્સિલરના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ, સાયબર ક્રાઈમ, પંચમહાલ રેન્જ પોલીસને મોટી સફળતા મળી. કુખ્યાત ઈરફાન પાડા સહિતના 4 શખ્સોને પોલીસે ઝડપીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ઈરાદાપૂર્વક કરાયેલી હત્યાનો દિવસો પહેલાથી પ્લાન ગોઠવાયો હતો. મૃતક હિરેન પટેલની લાંબા સમયથી રેકી પણ કરવામાં આવતી હતી. આ હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજનો ઝીણવટભર્યો અભ્યાસ કરાતા એક સફેદ બોલેરોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી. એક જ કારના ત્રણ સીસીટીવી ફૂટેજમાં મળતા ઈરાદાપૂર્વક વાહનની ટક્કર માર્યાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહેદપુર ગામથી વાહન માલિકને શોધી કઢાયો હતો. એલીબીસીની ટીમે બનાવમાં અંજામ આપનાર આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો