
ઉનાળામાં પીળી ભમરીઓ ઘરોમાં માળા બનાવે છે. જો તેમના માળાને અડચણ પહોંચે તો તે ડંખ મારી શકે છે. ભમરીનો ડંખ ભારે દુખાવો અને સોજો લાવે છે, જે થોડા દિવસો સુધી રહી શકે છે. ખાસ કરીને ચહેરા પર ડંખ થાય તો તકલીફ વધુ લાગે છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, કેટલાક સરળ ઘરેલુ ઉપાયો દુખાવામાંમાં રાહત આપી શકે છે.

જો પીળી ભમરી કરડે, તો સૌપ્રથમ તે જગ્યાને સાફ પાણી અથવા સાબુથી ધોઈ લો. તમે ભીનું સુતરાઉ કપડું લઈને પણ હળવેથી સાફ કરી શકો છો. આવું કરવાથી ચેપ થવાનો ખતરો ઓછો થાય છે.

પીળી ભમરીના ડંખ પછી દુખાવો અને સોજો ઘટાડવા માટે બરફ લગાવવો લાભદાયક છે. બરફને કપડામાં લપેટીને 10 મિનિટ સુધી ડંખ થયેલી જગ્યાએ રાખો. આથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.

ભમરી કરડે પછી ચેપથી બચવા માટે એન્ટિસેપ્ટિક લગાવવું સારું રહે છે. થોડું ડેટોલ પાણીમાં ભેળવી કોટનથી ડંખ થયેલી જગ્યાએ લગાવો. આથી દુખાવો, સોજો અને બળતરા ઘટાડવામાં મદદ મળે છે.

ભમરીના ડંખ પછી દુખાવો અથવા બળતરા થાય તો લીંબુનો રસ લગાવી શકાય. તે સોજો અને ચેપ ઓછો કરવામાં મદદ કરે છે. લીંબુ ન હોય તો સરકો (Vinegar)પણ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે પણ રાહત આપે છે.

ભમરીના ડંખ પર ટૂથપેસ્ટ, માટી કે કોઈ પણ કડક કેમિકલવાળી વસ્તુ લગાવવી નહીં. આવું કરવાથી ચેપ વધી શકે છે અને ત્વચાને નુકસાન થઈ શકે છે. જો વધારે દુખાવો અથવા સોજો થાય, તો તરત ડૉક્ટરની સલાહ લો. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )