
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા વચ્ચે ભારત સરકારે મોટો દાવ ખેલ્યો છે. સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ ઘટાડાનો સીધો ફાયદો વાહનચાલકોને નહીં મળે.

ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ સ્થિર?: અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને એક મહિનો પૂરો થવા આવ્યો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા તેલના સપ્લાય પર માઠી અસર પડી છે. પરિણામે, 27 ફેબ્રુઆરીએ જે બ્રેન્ટ ક્રૂડ 72 ડોલર પ્રતિ બેરલ હતું, તે 27 માર્ચ સુધીમાં ઉછળીને 107 ડોલર પર પહોંચી ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ ખૂબ મોંઘું થઈ ગયું હોવા છતાં, ભારતની સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી રિટેલ ભાવમાં વધારો કર્યો નહોતો. કંપનીઓ આ વધારાનો બોજ પોતે ઉઠાવી રહી હતી, તેથી તેમને આર્થિક નુકસાનથી બચાવવા માટે સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે જેથી ભાવ વધારવાની જરૂર ન પડે.

ભારત પાસે કેટલો સ્ટોક છે?: પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 60 દિવસનો તેલનો જથ્થો અને 30 દિવસનો એલપીજી સપ્લાય સુરક્ષિત છે. જોકે, મહિનાની શરૂઆતમાં ભારત પાસે 74 દિવસનો રિઝર્વ સ્ટોક હતો.

સરકારે અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે અને લોકોને પીએનજી (PNG) કનેક્શન પર શિફ્ટ થવા જણાવ્યું છે જેથી એલપીજી નેટવર્કને અન્ય વિસ્તારોમાં વધુ મજબૂત બનાવી શકાય. આવશ્યક વસ્તુ ધારા (Essential Commodity Act) હેઠળ પણ સરકારે મહત્વના આદેશો જારી કર્યા છે.