
વોટર ફાસ્ટિંગ શું છે? : વોટર ફાસ્ટિંગ એ વજન ઘટાડવાની પ્રક્રિયા છે. જેમાં વ્યક્તિ લગભગ 24 કલાક માત્ર પાણી જ પીવે છે. આ સમયગાળા દરમિયાન તે પાણી સિવાય કોઈપણ પીણું, રસ અથવા અન્ય કોઈપણ પ્રવાહીનું સેવન કરતો નથી. આ પ્રકારના ઉપવાસ દરમિયાન શરીર બોડીમાં હાજર રિઝર્વ ઊર્જાનો ઉપયોગ કરે છે. જેમાં યકૃત અને સ્નાયુની પેશીઓમાં સંગ્રહિત ગ્લાયકોજેનનો સમાવેશ થાય છે.

ફાયદા : વોટર ફાસ્ટિંગની આ પ્રક્રિયા તમારા શરીરને કીટોસિસ તરફ લઈ જાય છે, જેમાં શરીર ઊર્જા માટે શરીરમાં હાજર ચરબીને તોડવાનું શરૂ કરે છે. એવું કહેવાય છે કે વોટર ફાસ્ટિંગ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે, જેમાં બોડી ડિટોક્સ અને વજન ઘટાડવાનો સમાવેશ થાય છે. વોટર ફાસ્ટિંગના ફાયદાની સાથે તેના અનેક ગેરફાયદા પણ છે, ચાલો જાણીએ તેના વિશે.

પોષક તત્વોની ઉણપ : પાણીના ઉપવાસને કારણે ઘણા લોકો તેમના શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોષક તત્વોની ઉણપથી પીડાય છે. આ ઉણપને કારણે તમારા હાડકાં નબળાં થઈ જાય છે, તેની સાથે તમે ઝડપથી એનિમિયાની સાથે-સાથે અન્ય ઘણી બીમારીઓનો પણ શિકાર બની શકો છો.

ડિહાઇડ્રેશનની સમસ્યા : શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી નથી, પરંતુ જો તમે યોગ્ય માત્રામાં ખોરાક ન લો તો તમે ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકો છો. ડિહાઇડ્રેશનને કારણે તમે માથાનો દુખાવો, થાક અને કિડનીની સમસ્યાઓથી પીડાઈ શકો છો.

નબળું પાચન તંત્ર : જો તમે લાંબા સમય સુધી વોટર ફાસ્ટિંગ કરો છો અને પછી તરત જ ખોરાક લો છો, તો તે તમારી પાચનતંત્રને બગાડી શકે છે. તમને ઉલ્ટી, પેટમાં દુખાવો અને સોજો આવવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.