
ભારતીય રેલ્વે નેટવર્ક પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દેશના મોટાભાગના મુખ્ય રૂટો પર હવે આ સેમી-હાઈસ્પીડ ટ્રેન દોડી રહી છે. તમે પણ ક્યારેક ને ક્યારેક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી જ હશે અથવા તો તેની આધુનિક ડિઝાઇન અને લક્ઝરી સુવિધાઓ વિશે સાંભળ્યું કે જોયું હશે. પરંતુ શું તમને ખબર છે કે આ ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ પણ અત્યંત અદ્યતન અને કમાલની છે?

વંદે ભારત ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ અન્ય સામાન્ય ભારતીય ટ્રેનો કરતાં તદ્દન અલગ છે અને ઘણી હદે આધુનિક લક્ઝરી કારની જેમ કામ કરે છે. આ સિસ્ટમમાં ઇલેક્ટ્રો ન્યુમેટિક (Electro-Pneumatic) ડિસ્ક બ્રેક લગાવવામાં આવ્યા છે. આ બ્રેક્સ પૈડાંની બાજુમાં નહીં પરંતુ પૈડાંની સાથે જ ફીટ કરવામાં આવે છે. વીજળીના સિગ્નલ મારફતે આ બ્રેકિંગ સિસ્ટમ ટ્રાન્સમિટ થતી હોવાથી તે પલક ઝપકાવતા જ સક્રિય થઈ જાય છે અને બ્રેક મારતાં જ તુરંત અસર દેખાવા લાગે છે. આ જ કારણ છે કે સામાન્ય ટ્રેનોની સરખામણીએ વંદે ભારત વધુ સુરક્ષિત ગણાય છે.

ઇમરજન્સીમાં ટ્રેનને કેવી રીતે રોકે છે આ સિસ્ટમ? વંદે ભારત ટ્રેનમાં કટોકટીના સમયે તાત્કાલિક ટ્રેન રોકવા માટે અદ્યતન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં કારની જેમ જ ઇમરજન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ (EBD) સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ટેકનોલોજી હાઈસ્પીડ ટ્રેનને ઈમરજન્સી દરમિયાન કોઈપણ પ્રકારના આંચકા કે મુસાફરોને જોખમ પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે રોકી શકે છે. આ નવી બ્રેકિંગ ક્ષમતાનું સફળ ટ્રાયલ ઓગસ્ટમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેને મુસાફરો ધરાવતી નિયમિત ટ્રેનોમાં પૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

બ્રેક લગાવતાં જ બને છે વીજળી (રિજનરેટિવ બ્રેકિંગ): જ્યારે કોઈ સામાન્ય ટ્રેન પૂરઝડપે દોડતી હોય અને બ્રેક લગાવવામાં આવે, ત્યારે ઘર્ષણને કારણે ટ્રેનની ગતિજ ઉર્જા (Kinetic Energy) ગરમી સ્વરૂપે વેડફાઈ જાય છે. પરંતુ વંદે ભારતમાં રિજનરેટિવ બ્રેકિંગ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે: બ્રેકિંગ દરમિયાન ટ્રેનની ઇલેક્ટ્રિક મોટર એક જનરેટર (ડાયનેમો) ની જેમ કામ કરવા લાગે છે. ટ્રેનની ગતિને કારણે ફરતા પૈડાં મોટરને ફેરવે છે, જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલી વીજળીને ઓવરહેડ વાયર (OHE) દ્વારા રેલ્વેના પાવર ગ્રીડમાં પાછી મોકલવામાં આવે છે અથવા ટ્રેનની જરૂરિયાત મુજબ ફરી વાપરવામાં આવે છે.

જોકે, મોટર, ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રાન્સમિશનમાં થતા થોડા નુકસાન (Loss) ના કારણે બધી જ ઉર્જા પાછી મેળવી શકાતી નથી, તેમ છતાં એક અંદાજ મુજબ આ ટેકનોલોજી દ્વારા લગભગ 30 ટકા જેટલી વીજળી પુનઃ પેદા કરી શકાય છે, જેનાથી રેલવેના કરોડો રૂપિયાના વીજ બિલ અને ઊર્જાની બચત થાય છે.