
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે પાટા પર હજારો ટન વજન ધરાવતી ટ્રેનો દિવસ-રાત દોડે છે, તે પાટા આખરે શેના બનેલા હોય છે? આપણને પાટા જોતા એવું જ લાગે કે, આ મજબૂત પાટા લોખંડના હશે પરંતુ અહીં જ એક મોટું રહસ્ય છુપાયેલું છે.

તમને જણાવી દઈએ કે, ટ્રેનના પાટા લોખંડમાંથી નહીં પણ મેંગેનીઝ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. મેંગેનીઝ સ્ટીલમાં 12 ટકા મેંગેનીઝ અને લગભગ 1 ટકા જેટલું કાર્બન ભેળવવામાં આવે છે. આના કારણે પાટા મજબૂત અને ટકાઉ બને છે તેમજ ટ્રેનનું વજન સહન કરી શકે છે.

આ ધાતુની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેના પર જેટલું વધારે વજન આવે, તે એટલું જ વધારે મજબૂત બની જાય છે. વધુમાં આ ધાતુની સૌથી મોટી વિશેષતા તેનું 'સેલ્ફ-હાર્ડનિંગ' (Self-hardening) પ્રોપર્ટી છે.

સરળ રીતે સમજીએ તો, જેમ જેમ ટ્રેનના પૈડાં આ પાટા પર દબાણ લાવે છે, તેમ તેમ આ સ્ટીલની ઉપરનું પડ વધુને વધુ સખત થતું જાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, આ સ્ટીલ દબાણ હેઠળ તૂટવાને બદલે પોતાની આંતરિક સંરચનાને વધુ મજબૂત બનાવી લે છે. આ જ કારણ છે કે, હજારો ટ્રેન પસાર થયા પછી પણ પાટાનો આકાર બદલાતો નથી.

હવે સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, ટ્રેનના પૈડાં શેમાંથી બને છે. જો તમને લાગતું હોય કે, પૈડાં તો લોખંડમાંથી જ બનતા હશે, તો તમે અહીં પણ ખોટા છો. તમને જણાવી દઈએ કે, તે ફોર્જ્ડ સ્ટીલ અથવા કાર્બન સ્ટીલ મિક્સ ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ પૈડાં અત્યંત મજબૂત, ઉચ્ચ દબાણ અને ભારે વજન સહન કરવા માટે બનાવવામાં આવે છે.