સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વૈદિક હોળી પ્રગટે એ માટે ગૌરક્ષકો, ગૌશાળા, સજોડ પ્રબુદ્ધ નાગરીકો આગળ આવ્યા છે. પીપોદરાની એલ. બી.ગૌક્રાંતિ સંસ્થાના કોસાડ ગામની શ્રી હરિ ગૌશાળા, ધોરણપારડીની સોમોલાઈ હનુમાન ગૌશાળા અને સુરત પાંજરાપોળ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ વૈદિક હોળી માટેની ગોબરસ્ટીક મોટી સંખ્યામાં બનાવવાનું બીડું ઝડપ્યું છે.
ગત વર્ષે 12 ટન સામે આ વર્ષે 70 ટન ગોબરસ્ટીક બનાવાઈ છે. જ્યારે પીપોદરાની એલ.બી.ગૌક્રાંતિ સંસ્થામાં આ વર્ષે 20 ટકાના વધારા સાથે 70 ટન કોસાડ રોડની શ્રી હરી ગૌશાળામાં ગત વર્ષે 10 ટન સામે આ વર્ષે 25 ટન ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કરાયો છે. જ્યારે ગાયપગલા નજીકની શ્રી સોમોલાઈ હનુમાન ગૌશાળા દ્વારા પણ 30 ટન ગોબરસ્ટીક બનાવાઈ છે.
લાકડા 14થી 15 રૂપિયા કિલો મળતા હોય છે પરંતુ આ ગોબર સ્ટીક 20 રૂપિયે કિલો મળે છે, ભલે મોંઘી છે પણ લોકો પર્યાવરણ અને વૃક્ષ બચાવવા માટે વધારે માંગે છે. 70 ટન ગોબરસ્ટીકથી 250 વૈદિક હોળી પ્રગટાવાશે.
સુરત પાંજરાપોળ ટ્રસ્ટના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતુ કે, વૈદિક હોળી માટે હાલમાં રોજની 10થી વધારે ઈન્કવાયરી આવી રહી છે. મોટી સોસાયટી અને મોટાપાયે થતા હોળીકાદહનના કાર્યક્રમોમાં 500 કિલો ગોબરસ્ટીકની માંગ રહે છે. નાના પાયે કે સામાન્ય આયોજનોમાં 300 કિલો સુધીની ગોબરસ્ટીકની માંગ રહે છે. તેને જોતાં 70 હજાર કિલો ગોબરસ્ટીક અને સરેરાશ 300 કિલોની ગણતરી કરીએ તો 250 જેટલી વૈદિક હોળી પ્રગટાવી શકાશે.
હાલમાં સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન, સંવર્ધન થઇ રહ્યું છે. એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે. દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ છે.