
Suraj Nambiar Post: અભિનેત્રી Mouni Roy અને ઉદ્યોગપતિ Suraj Nambiar દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન જાહેર કરીને અલગ થવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારથી તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. હવે આ તમામ ચર્ચાઓ વચ્ચે સૂરજ નામ્બિયારે ખુદ આગળ આવીને સ્પષ્ટતા કરી છે.

સોમવારે સૂરજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે ચાલી રહેલી અફવાઓને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમના અને મૌનીના અલગ થવા પાછળ કોઈ ત્રીજી વ્યક્તિ જવાબદાર નથી. સાથે જ ભરણપોષણ અને વિવાદને લગતા દાવાઓને પણ તેમણે નકારી કાઢ્યા હતા.

સૂરજે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “હું એક વખત માટે સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે આ મામલે કોઈ ભરણપોષણનો મુદ્દો નથી, કોઈ વિવાદ નથી અને કોઈ ત્રીજી વ્યક્તિ સામેલ નથી.” તેમણે ઉમેર્યું કે મૌની અને તેમણે પરસ્પર સમજૂતી, આદર અને કાળજી સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે.

પોસ્ટમાં સૂરજે વધુમાં જણાવ્યું કે બંનેએ મળીને આ નિર્ણય લીધો હતો અને હાલ જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે માત્ર કલ્પિત છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક લોકો ઇરાદાપૂર્વક ખોટી વાતો ફેલાવી રહ્યા છે, જેથી બે વ્યક્તિઓની છબી ખરાબ થાય.

સૂરજે પોતાના મિત્રોનું નામ આ મામલામાં ખેંચવામાં આવતું હોવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે નિર્દોષ લોકો અને મિત્રોને આ વિવાદમાં જોડવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેઓનો આ મામલે કોઈ લેવાદેવા નથી.

અંતમાં સૂરજે કહ્યું કે જે કંઈ કહેવાનું હતું તે બંનેએ પોતાના સંયુક્ત નિવેદનમાં પહેલેથી જ કહી દીધું છે અને હવે લોકો ખોટી અટકળો ફેલાવવાનું બંધ કરે તેવી તેઓ અપેક્ષા રાખે છે.
Published On - 2:55 pm, Mon, 18 May 26