
પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગના પુન: નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે "સોમનાથ અમૃતપર્વ-2026" ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવમાં દેશભક્તિનો રંગ ઉમેરવા ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) સજ્જ થઈ છે. 11 મેના રોજ સવારે બરાબર 11 કલાકે સોમનાથના આકાશમાં વાયુસેનાના પાઈલટો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે.

જામનગરથી સોમનાથ માત્ર 18 મિનિટમાં: આ એર શો માટે પાઈલટો જામનગર એરફોર્સ સ્ટેશનથી લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-132 ફાઈટર જેટ્સ સાથે ઉડાન ભરશે. જામનગરથી સોમનાથનું 182 કિમીનું અંતર આ વિમાનો માત્ર 18 મિનિટમાં કાપીને સોમનાથના દરિયાકિનારે પહોંચશે.

ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં 13 કુશળ પાઈલટો આશરે 15 મિનિટ સુધી આકાશમાં વિવિધ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. વિમાનો વચ્ચેનું અંતર 5 મીટર કરતા પણ ઓછું રાખીને પાઈલટો તેમની ચોકસાઈનો પરિચય આપશે.

આકાશમાં રચાશે કેસરી, સફેદ અને લીલો પ્રભાશ: આ એર શોનું મુખ્ય આકર્ષણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલા 'સ્મોક પોડ્સ' હશે. આ પોડ્સની મદદથી ફાઈટર જેટ્સ આકાશમાં ત્રિરંગાના ત્રણ રંગો - કેસરી, સફેદ અને લીલા રંગનો ધુમાડો છોડીને આખા આકાશને ભારતીય ધ્વજની પ્રતિકૃતિમાં ફેરવી દેશે. આ સાથે જ એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિરના શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવશે, જે આસ્થા અને શૌર્યનો સુંદર સંગમ રચશે.

રિહર્સલમાં જ જોવા મળી શક્તિની ઝલક: તાજેતરમાં યોજાયેલા રિહર્સલ દરમિયાન પાયલટોએ જે રીતે આકાશમાં કરતબો કર્યા તે જોઈને ભાવિક ભક્તો અને પ્રવાસીઓ હર્ષનાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ ટીમ અગાઉ યુએઈ, સિંગાપોર અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. સોમનાથ ટ્રસ્ટ અને વાયુસેનાના સંકલનથી યોજાનારો આ કાર્યક્રમ પ્રજામાં રાષ્ટ્રવાદ અને સૈન્ય પ્રત્યે આદરની ભાવના મજબૂત કરશે.