
મોટાભાગના લોકો જમવાનું પૂરું થતાં જ એક ગ્લાસ પાણી પી લે છે પરંતુ આ નાનકડી આદત તમારા પાચનતંત્ર (Digestive System) ને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ભોજન પચાવવા માટે પેટમાં 'જઠરાગ્નિ' (પાચન અગ્નિ) સક્રિય થાય છે.

એવામાં જ્યારે આપણે તરત જ પાણી પીએ છીએ, ત્યારે પેટમાં રહેલા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ (પાચક ઉત્સેચકો) અને ગેસ્ટ્રિક જ્યુસ પાતળા થઈ જાય છે. આનાથી ખોરાક પચવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના પરિણામે ગેસ, એસિડિટી, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ શરૂ થાય છે.

જમ્યા પછી તરત જ પાણી પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે. બીજું કે, જ્યારે આહાર યોગ્ય રીતે પચતો નથી, ત્યારે તે ગ્લુકોઝમાં પરિવર્તિત થઈને શરીરમાં 'ફેટ' (ચરબી) તરીકે જમા થવા લાગે છે. આનાથી માત્ર વજન વધવાનું જોખમ જ નથી રહેતું પરંતુ બ્લડ સુગર લેવલ પણ અનિયંત્રિત થઈ શકે છે.

સ્વસ્થ શરીર માટે ભોજનમાંથી વિટામિન, મિનરલ્સ અને પ્રોટીનનું શોષણ થવું જરૂરી છે. જો પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરે, તો આંતરડા ફૂડમાં રહેલા આ આવશ્યક પોષક તત્વોને શોષી શકતા નથી. લાંબા સમય સુધી આવું થવાથી શરીરમાં નબળાઈ અને પોષણની ઉણપ સર્જાઈ શકે છે.

એવામાં ધ્યાન રાખો કે, હંમેશા જમવાના 30 મિનિટ પહેલા અને જમ્યાના ઓછામાં ઓછા 40 થી 60 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. બીજું કે, જો જમતી વખતે ગળું સુકાતું હોય અથવા કોઈ વાનગી વધુ તીખી લાગતી હોય, તો એક-બે ઘૂંટડા હુંફાળું પાણી અથવા છાશનું સેવન કરી શકાય છે.

આ ઉપરાંત જમવાનું તમે જેટલું વધુ ચાવીને ખાશો, લાળ (Saliva) એટલી જ સારી રીતે તેમાં ભળશે, જેનાથી પાચન દરમિયાન પાણીની ઊણપ અનુભવાશે નહીં.