
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક 8 એપ્રિલે શરૂ થઈ હતી અને આજે એટલે કે 8 એપ્રિલ 2026 ના રોજ RBI એ બેઠકમાં લેવાયેલા ખાસ નિર્ણયોની જાહેરાત કરી દીધી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા (Sanjay Malhotra) દ્વારા કરવામાં આવેલી એ 5 મોટી જાહેરાત, જે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસ સાથે જોડાયેલી છે.

ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ બુધવાર, 8 એપ્રિલે રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો છે. આ સતત બીજી વખત છે, જ્યારે સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ દરો સ્થિર રાખવામાં આવ્યા હતા, જ્યારે ડિસેમ્બરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય સર્વસંમતિથી લીધો છે. આ સાથે SDF (Standing Deposit Facility) રેટ 5 ટકા અને MSF (Marginal Standing Facility) રેટ 5.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે.

ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારી અંગે મોટું અપડેટ આપ્યું છે, જેમાં FY27 માટે CPI અનુમાન 4.6 ટકા રાખવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, પ્રથમ વખત RBI એ કોર મોંઘવારીનું પણ અનુમાન જાહેર કર્યું છે, જે 4.4 ટકા રહેવાનો અંદાજ છે. FY27 માટે કોર ઇન્ફ્લેશન (Core Inflation) 4.4 ટકા રહેવાનું અનુમાન છે.

વધુમાં RBI એ સ્પષ્ટપણે કહ્યું છે કે, જો El Nino ની સ્થિતિ સર્જાય છે, તો તે મોંઘવારી માટે મોટું જોખમ બની શકે છે. El Nino ના કારણે વરસાદ ઓછો થઈ શકે છે, જેની અસર પાક પર પડી શકે છે અને ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. ટૂંકમાં, આની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે રિયલ GDP ગ્રોથનું અનુમાન 6.9 ટકા રાખવામાં આવ્યું છે, જેની માહિતી ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના નાણાકીય વર્ષ 2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.6 ટકા રહ્યો હતો. કેન્દ્રીય બેંકે FY27 માટે ત્રિમાસિક ધોરણે પણ વૃદ્ધિના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ પ્રથમ ત્રિમાસિક (Q1) માં 6.8 ટકા, બીજા ત્રિમાસિક (Q2) માં 6.7 ટકા, ત્રીજા ત્રિમાસિક (Q3) માં 7 ટકા અને ચોથા ત્રિમાસિક (Q4) માં 7.2 ટકા ગ્રોથ રહેવાનું અનુમાન છે.

RBI ગવર્નરે જણાવ્યું કે, 3 એપ્રિલ સુધી દેશનો વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) 69,710 કરોડ ડોલર ના સ્તરે રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ભારત પાસે પૂરતો વિદેશી મુદ્રા ભંડાર ઉપલબ્ધ છે, જે બાહ્ય આંચકાઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. સંજય મલ્હોત્રાએ કહ્યું કે, દેશ પાસે લગભગ 11 મહિના સુધી આયાત કવર કરી શકાય તેટલો વિદેશી મુદ્રા ભંડાર ઉપલબ્ધ છે.