
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ'ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઉથ સુપરસ્ટાર યશ રાવણ તરીકે પડદા પર ધમાલ મચાવશે. ભગવાન રામના અવતારમાં રણબીર કપૂરનો લૂક ફેન્સ જોઈ ચૂક્યા છે અને હવે રાવણ તરીકે યશના લૂકની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આ દરમિયાન, 'રામાયણ પાર્ટ 1' (Ramayana Part 1) ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. યશે ફિલ્મ વિશે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, ફિલ્મના પહેલા ભાગમાં રામ અને રાવણનો મિલાપ જ થવાનો નથી. સાઉથ એક્ટર યશે 'Fandango' સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મ રામાયણ પર ખુલીને વાત કરી હતી.

આ ઈન્ટરવ્યુમાં જ્યારે યશને પૂછવામાં આવ્યું કે, સેટ પર રણબીર કપૂર સાથે તેનો સંબંધ કેવો રહ્યો? ત્યારે એક્ટરે કહ્યું, "રસપ્રદ વાત એ છે કે, અમે બંને આ ફિલ્મમાં હજુ સુધી સાથે સ્ક્રીન પર આવ્યા જ નથી. તમે જાણો છો કે, આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે, તો પહેલા ભાગમાં રાવણ તરીકે મારું પોતાનું અલગ સામ્રાજ્ય છે અને રામ પોતાના રાજ્યમાં છે. જો કે, હું અને રણબીર એકવાર મળ્યા જરૂર છીએ. રણબીર ખૂબ જ શાનદાર એક્ટર છે. મને લાગે છે કે, અમારા બંને વચ્ચે કામને લઈને પરસ્પર સન્માન છે. અમે એક ખૂબ જ મોટા અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, તેથી અમારું લક્ષ્ય એક જ છે. અમારે આ વાર્તામાં અમારું બેસ્ટ આપવું છે. અમારો વિઝન એક હોવાથી અમારી કેમિસ્ટ્રીમાં કોઈ મુશ્કેલી નથી, અમે મજા કરી રહ્યા છીએ."

નોંધનીય છે કે, નિતેશ તિવારી લાંબા સમયથી 'રામાયણ' પર કામ કરી રહ્યા છે અને તેની કાસ્ટિંગમાં ઘણો સમય ફાળવવામાં આવ્યો છે. ફિલ્મમાં 'રણબીર કપૂર' રામ, 'યશ' રાવણ, જ્યારે 'સાંઈ પલ્લવી' માતા સીતા અને 'રવિ દુબે' લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે.

આ ઉપરાંત ફિલ્મમાં સની દેઓલ, લારા દત્તા અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં હશે. 'રામાયણ'નો પહેલો ભાગ વર્ષ 2026ની દિવાળી પર અને બીજો ભાગ વર્ષ 2027ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.