
સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. 2026ના ત્રિમાસિક ગાળા માટે, સરકારે માર્ચ 2026 માં મળેલી બેઠકમાં સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો સીધો મતલબ એ છે કે રોકાણકારોને હજુ પણ 8.2 ટકાના દરે ધમાકેદાર વ્યાજ મળતું રહેશે, જે બજારના અન્ય સુરક્ષિત વિકલ્પો કરતાં ઘણું વધારે છે.

દર વર્ષે ₹2,46,000 ની કમાણી કેવી રીતે થશે?: આ યોજનાનો પાકતી મુદત (મેચ્યોરિટી) નો ગાળો 5 વર્ષનો છે, જેને જરૂરિયાત મુજબ આગળ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. આ સ્કીમમાં કોઈ એક વ્યક્તિ મહત્તમ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં ₹30 લાખનું એકસાથે રોકાણ કરે છે, તો 8.2 ટકાના વ્યાજ દર મુજબ તેમને દર ત્રણ મહિને (તિમાહી આધારે) ₹61,500 નું વ્યાજ મળશે. આ હિસાબે વર્ષમાં ચાર વખત વ્યાજ ચૂકવવામાં આવતું હોવાથી, એક વર્ષની કુલ કમાણી ₹2,46,000 થશે. 5 વર્ષની મુદત પૂરી થાય ત્યાં સુધી આ કમાણી ચાલુ રહેશે.

રોકાણની મર્યાદા અને ખાતું ખોલવાના નિયમો: ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા: આ સ્કીમમાં ઓછામાં ઓછું ₹1,000 થી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે તમામ એસસીએસએસ (SCSS) ખાતાઓ મળીને મહત્તમ મર્યાદા ₹30 લાખની છે.

જોઇન્ટ એકાઉન્ટની સુવિધા: પતિ-પત્ની બંને સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. આ સ્થિતિમાં બંનેના અલગ-અલગ ખાતામાં પણ ₹30-30 લાખ સુધીનું રોકાણ થઈ શકે છે.

વધારાની રકમ પર નિયમ: જો કોઈ રોકાણકાર ભૂલથી નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવશે, તો તે વધારાની રકમ તેને પરત કરી દેવાશે. આ વધારાની રકમ પર જમા તારીખથી પરત મળવાની તારીખ સુધી માત્ર સામાન્ય પોસ્ટ ઓફિસ બચત ખાતાનો જ વ્યાજ દર લાગુ પડશે.

ટેક્સનું ગણિત પણ સમજી લો: આ યોજના હેઠળ મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સને પાત્ર હોય છે. જોકે, વરિષ્ઠ નાગરિકો આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ વાર્ષિક ₹50,000 સુધીના વ્યાજ પર ટેક્સ કપાત (ડિડક્શન) નો દાવો કરી શકે છે, જે તેમને મોટી રાહત આપે છે.

નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવા અને પોતાની મૂડીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એ દેશનો સૌથી ભરોસાપાત્ર અને ફાયદાકારક સરકારી જુગાડ છે.