
સરકારે નાના રોકાણો અને રોકડ વ્યવહારોને ટેક્સ સિસ્ટમ હેઠળ લાવવા માટે પોસ્ટ ઓફિસના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદેશ્ય સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો અને શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખવાનો છે.

કયા કામો માટે PAN કાર્ડ અનિવાર્ય?: આયકર નિયમ 2026 મુજબ હવે નીચેના કામો માટે PAN વગર ચાલશે નહીં: નવું બચત ખાતું ખોલાવવા માટે. ખાતામાં પૈસા જમા કરવા અથવા ઉપાડ કરવા માટે. ટાઈમ ડિપોઝિટ (FD) માં રોકાણ કરવા માટે.

PAN કાર્ડ ન હોય તો શું કરવું?: જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમારું કામ અટકશે નહીં પરંતુ પ્રક્રિયા થોડી જટિલ બનશે. તમારે હવે Form 97 ભરવું પડશે, જેમાં તમારી ઓળખ, સરનામું અને વ્યવહારની સંપૂર્ણ વિગતો આપવી પડશે. પોસ્ટ ઓફિસ આ ડેટાને પોતાના રેકોર્ડમાં સુરક્ષિત રાખશે.

TDS ના નિયમોમાં મોટો ફેરફાર: વ્યાજ પર કપાતા TDS થી બચવા માટે અત્યાર સુધી વપરાતા ફોર્મ 15G અને 15H ને રદ કરવામાં આવ્યા છે. તેના બદલે હવે નવું Form 121 લાગુ કરવામાં આવ્યું છે. આ એક જ ફોર્મ તમામ રોકાણકારો માટે રહેશે, પરંતુ શરત એ છે કે જેની આવક ટેક્સ લિમિટથી ઓછી હોય તેમણે જ આ ફોર્મ દર વર્ષે જમા કરાવવાનું રહેશે.

7 વર્ષ સુધી રેકોર્ડ જાળવવો પડશે: નવા નિયમો મુજબ પોસ્ટ ઓફિસ માટે પણ કડકાઈ વધારવામાં આવી છે. હવે તમામ દસ્તાવેજો અને ફોર્મ ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સાચવીને રાખવા પડશે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈપણ સમયે તમારા વ્યવહારોની તપાસ થઈ શકે છે.

રોકાણકારો માટે સલાહ: તમામ ગ્રાહકોએ હવે ખાતરી કરવી જોઈએ કે તેમનું PAN કાર્ડ પોસ્ટ ઓફિસમાં અપડેટ થયેલું છે. દરેક ટ્રાન્ઝેક્શનમાં સાચી માહિતી આપવી અને નવા ફોર્મ વિશે માહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન નડે.