
આયોગ અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી તૈયાર કરાયેલા “એ કોમ્પ્રીહેન્સિવ ફ્રેમવર્ક ફોર પ્રમોટિંગ એફોર્ડેબલ હાઉસિંગ” નામના અહેવાલમાં જણાવાયું છે કે કલમ 80-IBA ફરીથી અમલમાં લાવવાથી વિકાસકર્તાઓને નોંધપાત્ર નાણાકીય રાહત મળશે. સાથે જ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થશે અને ખાનગી ભાગીદારીમાં વધારો થશે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં પોષણક્ષમ આવાસની અછતનું મુખ્ય કારણ માત્ર જમીનની ઊંચી કિંમત અથવા ઓછો પુરવઠો નથી, પરંતુ હોમ લોન અને ફંડિંગ સિસ્ટમમાં રહેલી નબળાઈઓ પણ છે. ઘર ખરીદનારાઓ અને બિલ્ડરો બંનેને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, જેના કારણે પોષણક્ષમ આવાસ ક્ષેત્ર જોખમી અને ઓછું નફાકારક બની જાય છે. નોંધનીય છે કે કલમ 80-IBA જૂન 2016થી માર્ચ 2022 સુધી અમલમાં હતી.

આયોગે ઓછી આવક ધરાવતા વર્ગ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ હેઠળ મહત્તમ લોન મર્યાદા વધારીને ₹40 લાખ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, નેશનલ હાઉસિંગ બેંક (NHB)ને આવકવેરા કાયદાની કલમ 54EC હેઠળ કરમુક્ત બોન્ડ જારી કરવાની મંજૂરી આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને ઓછી આવક ધરાવતા જૂથ (LIG) માટેના સસ્તા આવાસ પ્રોજેક્ટ્સ માટે થઈ શકે છે.

રિપોર્ટમાં એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે જો જમીનનો ઉપયોગ માત્ર પોષણક્ષમ આવાસ માટે કરવામાં આવે અને નિર્ધારિત ફ્લોર એરિયા રેશિયો (FAR)નો ઓછામાં ઓછો 50 ટકા ઉપયોગ થાય, તો જમીન ઉપયોગ પરિવર્તન ચાર્જ માફ કરવામાં આવે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ બનતા ઘરો અને અન્ય મંજૂર પોષણક્ષમ આવાસ પ્રોજેક્ટ્સ માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી મુક્તિ આપવાનું પણ સૂચવાયું છે.

નીતિ આયોગનું માનવું છે કે આ તમામ રાહત પગલાંઓ અમલમાં મૂકવામાં આવે તો પોષણક્ષમ આવાસની કુલ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે. પરિણામે, સામાન્ય નાગરિકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે અને વિકાસકર્તાઓ માટે આ ક્ષેત્રમાં રોકાણ કરવું વધુ આકર્ષક બનશે.