
તેલંગાણાના વારંગલમાં આવેલા હેમચલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિને જીવંત હોવાનું માનવામાં આવે છે. ભક્તોનો દાવો છે કે, મૂર્તિ દબાવીએ ત્યારે તેમાંથી લોહી નીકળે છે.

જણાવી દઈએ કે, આ મંદિર 4000 વર્ષ જૂનું છે અને 1500 ફૂટ ઊંચા પર્વત પર આવેલું છે. આ મંદિરમાં ભગવાન નરસિંહની સ્વયંભૂ મૂર્તિ વિરાજમાન છે. ભક્તોનું માનવું છે કે, ભગવાનની મૂર્તિ જીવંત છે અને જ્યારે તેને દબાવવામાં આવે છે, ત્યારે તેમાંથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળે છે. ખાસ વાત તો એ કે, ચોમાસા દરમિયાન હજારો લોકો 150 પગથિયાં ચઢીને આ ચમત્કાર જોવા માટે પહોંચે છે.

નોંધનીય છે કે, પૂજારીઓ "રક્તસ્ત્રાવ" રોકવા માટે મૂર્તિ પર ચંદનના લાકડાનો લેપ લગાવે છે. ભક્તોનું કહેવું છે કે, આ મૂર્તિ પોતાની મેળે પ્રગટ થઈ હતી. મંદિરનું કુદરતી વાતાવરણ અને તેની રહસ્યમય વાર્તા ધાર્મિક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ભક્તોનો દાવો છે કે, મૂર્તિને હળવેથી દબાવવાથી તેમાં એક છિદ્ર બને છે અને વધુ દબાણ કરવાથી લાલ પ્રવાહી નીકળે છે, જેને તેઓ લોહી માને છે. પૂજારી કહે છે કે, આ એક સ્વ-નિર્મિત મૂર્તિ છે અને આ મૂર્તિને કોઈ શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી નથી.

ભક્તોનો દાવો છે કે, મૂર્તિ પૃથ્વી પરથી જાતે જ પ્રગટ થઈ છે. લોકો આ ચમત્કાર જોવા માટે દૂર-દૂરથી આવે છે. વૈજ્ઞાનિકો માને છે કે, આનું કારણ મૂર્તિમાં ઉપયોગમાં લેવાયેલ સામગ્રી અથવા કુદરતી રાસાયણિક પ્રક્રિયા હોઈ શકે છે પરંતુ ભક્તોની શ્રદ્ધા તો અડગ અને અટલ છે. એવું કહેવાય છે કે, આ સ્થળ 4000 વર્ષ જૂનું છે અને ભગવાન નરસિંહની શક્તિનું પ્રતીક છે. હિન્દુ માન્યતાઓમાં નરસિંહને વિષ્ણુનો ક્રોધી અવતાર માનવામાં આવે છે, જે દુષ્ટતાનો નાશ કરે છે.

અહીં આવતા ભક્તો માને છે કે, દર્શન કરવાથી દુઃખમાંથી મુક્તિ મળે છે અને ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને નિઃસંતાન યુગલો માટે આ મંદિર એક આશાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ સવારે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મૂર્તિને સ્પર્શ કરતા પહેલા પૂજારીની પરવાનગી લેવી પડે છે. વધુમાં જોઈએ તો, મંદિરની પાસેથી એક નદી વહે છે, જે ભગવાન નરસિંહના ચરણોમાંથી ઉત્પન્ન થયેલી હોય તેવું માનવામાં આવે છે. આ નદીનું નામ રાણી રુદ્રમ્મા દેવીએ "ચિંતામણિ" રાખ્યું હતું અને સ્થાનિક લોકો તેને "ચિંતામણિ જલપથમ" કહે છે.

આ પાણી પવિત્ર અને ઔષધિય ગુણ ધરાવતું હોય તેવું માનવામાં આવે છે. ભક્તો આ પવિત્ર પાણીમાં સ્નાન કરે છે અથવા તો તેને બોટલમાં ભરીને પોતાના સાથે લઈ જાય છે. મંદિરની પવિત્રતા જાળવવા માટે અહીં ફોટોગ્રાફીની મંજૂરી નથી. વારંગલથી બસ અથવા ટેક્સી દ્વારા આ સ્થળે સરળતાથી પહોંચી શકાય છે.