
પૂરતી ઊંઘ હોવા છતાં સતત થાક લાગવો : ઘણી વખત વ્યક્તિ 7થી 8 કલાકની ઊંઘ લીધા પછી પણ તાજગી અનુભવતો નથી. સવારે ઊઠ્યા બાદ પણ વ્યક્તીનું શરીર અને મન બંને ભાર અનુભવતા હોય છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે મગજ સતત સ્ટ્રેસમાં હોય છે ત્યારે તે આરામની સ્થિતિમાં પહોંચી શકતું નથી. પરિણામે ઊંઘ પૂર્ણ હોવા છતાં વ્યક્તિ તાજગી અનુભવી શકતો નથી.

સતત નકારાત્મક વિચારો આવવા : માનસિક રીતે થાકી ગયેલા લોકો ઘણી વખત દરેક બાબતને નકારાત્મક રીતે જોવાનું શરૂ કરી દે છે. તેમને લાગે છે કે તેમની મહેનતનું કોઈ પરિણામ નહીં આવે. જીવનમાં કંઈ સારું નથી થવાનું અથવા તેઓ કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકશે નહીં. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી તણાવમાં રહે છે ત્યારે તેના વિચારો પર નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે.

પોતાની મનપસંદ પ્રવૃત્તિઓમાં પણ રસ ઓછો થવો : જે કામો તમને પહેલાં ખુશી આપતા હતા જો હવે તેમાં રસ ન રહ્યો હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. ઘણા લોકો સંગીત સાંભળવું, પુસ્તક વાંચવું, મિત્રો સાથે સમય પસાર કરવો, ફિલ્મ જોવી અથવા પ્રવાસ કરવો પસંદ કરતા હોય છે. પરંતુ માનસિક થાક વધે ત્યારે વ્યક્તિ આ તમામ પ્રવૃત્તિઓથી દૂર થવા લાગે છે.

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી : મગજની કાર્યક્ષમતા પર પણ માનસિક થાકની સીધી અસર પડી શકે છે. ઘણા લોકો માનસિક થાકથી કોઈ કામ પર લાંબા સમય સુધી ધ્યાન આપી શકતા નથી. ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય અથવા ઘરેલુ જવાબદારીઓ હોય દરેક બાબતમાં ધ્યાન ભટકવા લાગે છે. વારંવાર વસ્તુઓ ભૂલી જવાય છે.

નાની-નાની બાબતોમાં ગુસ્સો આવવો : માનસિક રીતે થાકી ગયેલી વ્યક્તિમાં ધીરજની ક્ષમતા ઘટી શકે છે. ઘરમાં કોઈ નાની ભૂલ થાય, ઓફિસમાં કોઈ કામમાં વિલંબ થાય અથવા ટ્રાફિકમાં થોડો સમય અટકવું પડે તો પણ ગુસ્સો વધી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 2:48 pm, Thu, 11 June 26