
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં સતત હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આજે સાંજે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધાઈ હતી.

અહેવાલો અનુસાર, હિંગોલી જિલ્લાના અનેક ગામોમાં બપોરથી જ હળવા આંચકાઓ અનુભવાયા હતા. તેમાં વસમત તાલુકાના પાંગરા શિંદે ગામ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. ભૂકંપના આંચકાઓને કારણે લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ પાંગરા શિંદે ગામમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી અને તેના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા.

સદનસીબે, આજે આવેલા ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાની માહિતી સામે આવી નથી. જોકે, સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં હજુ પણ ભય અને ચિંતા જોવા મળી રહી છે.