
ચ્યવનપ્રાશ બનાવવા માટે આમળા, મધ, ઘી, પીપળી, વંશલોચન, તજ, તમાલ પત્ર, નાગકેસર, નાની ઈલાયચી, કેસર, અખરોટ, બદામ, કિશમિશ, ખજૂર સહિતની સામગ્રીની જરુરત પડશે.

ચ્યવનપ્રાશ બનાવવા માટે તાજા આમળાનો ઉપયોગ કરી રહ્યાં છો તો પહેલા તેને સારી રીતે ધોઈને સૂકવી લો, અને પછી તેના નાના ટુકડા કરી લો.

જો તમે સૂકા આમળા વાપરતા હો, તો તેને આખી રાત પાણીમાં પલાળી રાખો, પછી તેને ધોઈ લો અને મિક્સરમાં પીસી લો.

ત્યારબાદ પીપળી, વંશલોચન , તજ, તમાલપત્ર, મરી,નાગકેસર અને નાની ઈલાયચીને મિક્સરમાં પીસીને પાવડર બનાવો.

એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં આમળાના ટુકડા ઉમેરો અને ધીમા તાપે શેકો. જ્યારે આમળા નરમ થઈ જાય, ત્યારે તૈયાર કરેલો મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.

જ્યારે મિશ્રણ ઠંડુ થાય, ત્યારે મધ, અખરોટ, બદામ, કિસમિસ અને ખજૂર ઉમેરો. ત્યારબાદ કેસરને ગરમ દૂધમાં પલાળી રાખો અને પછી આ દૂધને ચ્યવનપ્રાશમાં ઉમેરો.

તૈયાર ચ્યવનપ્રાશને સ્વચ્છ કાચની બરણીમાં સંગ્રહિત કરી શકો છો. તમે દરરોજ સવારે ખાલી પેટે ગરમ દૂધ સાથે એક ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરી શકો છો.