
મોરારી બાપુનો જન્મ 2 માર્ચ 1946 (હિન્દુ કેલેન્ડર મુજબ મહા શિવરાત્રી)ના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં છ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં થયો હતો. રામચરિતમાનસ અને ભગવદ ગીતા બંને બાળપણથી જ બાપુના જીવનમાં કંઠસ્ટ હતા.

મોરારી બાપુના દાદા અને ગુરુ ત્રિભુવનદાસે તેમને ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાનસના ઊંડા અર્થ શીખવ્યા અને તેમને પવિત્ર ગ્રંથના પાઠ, એટલે કે કથાના વર્ણનના માર્ગ પર દોર્યા. મોરારી બાપુએ શાળાએ જતી વખતે રામચરિતમાનસ ચોપાઈ (શ્લોકો અથવા દોહા)નું પઠન કર્યું અને આ રીતે તેમની યાત્રા શરૂ થઈ હતી.

માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, બાપુ જૂનાગઢની શાહપુર શિક્ષક તાલીમ કોલેજમાં જોડાયા. 1966માં, બાપુએ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતુ.તમને જણાવી દઈએ કે, મોરારી બાપુએ માત્ર 14 વર્ષની ઉંમરમાં 1960માં રામકથા સંભળાવી હતી. આ કથા તેમણે પોતાના ગામ તલગાજરડના રામ મંદિરમાં સંભળાવી હતી.

મોરારીબાપુ ભારત,અમેરિકા, ઈંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા દુબઈ સહિત દુનિયાભરના અલગ અલગ દેશોમાં 900થી વધારે રામકથાના આયોજનમાં ભાગ લઈ ચૂક્યા છે.મોરારી બાપુ જ્યારે કેબ્રિજ યૂનિવર્સિટીના પરિસરમાં રામકથા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ રામ કથા સાંભળવા પહોંચ્યા હતા.

ખાસ વાત તો એ છે કે, મોરારી બાપુની કથામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિઝનેસમેન મુકેશ અંબાણી સહિત તમામ હસ્તીઓ સામેલ થઈ ચૂકી છે. મોરારી બાપુની ખુબ સુંદર વાત એ છે કે, તેઓ પોતાની કમાણીનો મોટાભાગનો હિસ્સો દાન કરે છે.ઉત્તરાખંડ આપત્તિ દરમિયાન તેમણે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. રામ મંદિર માટે મોરારી બાપુએ અંદાજે 11. 3 કરોડનું દાન આપ્યું હતુ.