
સામાન્ય રીતે બપોરે જમ્યા પછી મોટાભાગના લોકોને શરીરમાં આળસ અને સુસ્તીનો અનુભવ થાય છે. રાત્રે અધૂરી ઊંઘ અથવા સવારનો તણાવ આ માટે જવાબદાર હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, દિવસ દરમિયાન એક નાની ઝપકી (Nap) લેવી કોઈ ખોટી વાત નથી, કારણ કે તે મગજને ફરીથી સક્રિય કરે છે.

મેદાંતા નોઈડાના શ્વસન અને સ્લીપ મેડિસિન વિભાગના ડિરેક્ટર ડૉ. મૃણાલ સિરકારના જણાવ્યા અનુસાર, દિવસમાં 10 થી 30 મિનિટની નાની ઊંઘ અથવા ઝપકી લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે તમારી પ્રોડક્ટિવિટી અને એકાગ્રતાને ઘણી ગણી વધારી દે છે.

જો તમે રાત્રે પૂરતી ઊંઘ લો છો છતાં પણ આખો દિવસ થાક લાગે છે, જાગવામાં તકલીફ પડે છે અથવા બપોરે લાંબી ઊંઘ લેવાની જરૂર પડે છે, તો તે સામાન્ય નથી. મોટી ઉંમરના લોકોમાં દિવસ દરમિયાન વારંવાર અને અસમયે ઊંઘ આવવી તે નબળા સ્વાસ્થ્ય અને જોખમની નિશાની હોઈ શકે છે.

દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ આવવાનું એક મુખ્ય કારણ 'ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા' હોઈ શકે છે. આ બીમારીમાં ઊંઘતી વખતે શ્વાસ લેવામાં વારંવાર અવરોધ આવે છે, જેના કારણે રાતની ઊંઘ અધૂરી રહે છે અને દિવસે ગમે ત્યારે ઊંઘ આવી જાય છે.

જે લોકોને રાત્રે સમયસર ઊંઘ નથી આવતી, અથવા રાત્રે વારંવાર ઊંઘ ઉડી જવાની સમસ્યા રહે છે, તેમનું શરીર પૂરતો આરામ મેળવી શકતું નથી. આના પરિણામે દિવસના સમયે વારંવાર ઝોકાં ખાવાની જરૂરિયાત ઊભી થાય છે.

આ એક ન્યુરોલોજીકલ એટલે કે ચેતાતંત્ર સંબંધિત સમસ્યા છે. આમાં વ્યક્તિને ખાસ કરીને રાત્રે પગમાં વિચિત્ર સંવેદના થાય છે અને પગ હલાવવાની તીવ્ર ઈચ્છા થાય છે. આના કારણે રાતની ઊંઘની ગુણવત્તા બગડે છે અને દિવસે ભારે થાક લાગે છે.

ડૉક્ટરોના મતે, દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવી એ ડાયાબિટીસ (Diabetes), હાઇપોથાઇરોડિઝમ, હૃદયની બીમારીઓ (Heart Diseases) અને લાંબા સમયની અન્ય શારીરિક બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે.

શારીરિક સમસ્યાઓ ઉપરાંત, ડિપ્રેશન (Depression) અને લાંબા સમયનો માનસિક તણાવ (Stress) પણ દિવસ દરમિયાન વધુ પડતો થાક અને ઊંઘ આવવાનું મોટું કારણ બની શકે છે. તેથી તેને નજરઅંદાજ કર્યા વગર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.