
ટ્રેનમાં ટિકિટ બુક કરાવતી વખતે ઘણા મુસાફરોને RAC ટિકિટ મળે છે. આવા સમયે તેમને આખી બર્થ નહીં પરંતુ અડધી સીટ પર જ મુસાફરી કરવી પડે છે. આવામાં લોકોના મનમાં અવારનવાર સવાલ ઊઠે છે કે, જ્યારે સુવિધા અડધી મળી રહી છે તો ભાડું પૂરેપૂરું કેમ લેવામાં આવે છે?

રેલવેના જણાવ્યા અનુસાર, RAC વ્યવસ્થા મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, જો કોઈ મુસાફરની કન્ફર્મ ટિકિટ કેન્સલ થાય અથવા તે મુસાફરી માટે ન પહોંચે, તો ખાલી થયેલી બર્થ RAC મુસાફરોને મળી શકે.

લોકસભામાં પણ એક સવાલના જવાબમાં રેલવે મંત્રીએ RAC ની વ્યવસ્થા વિશે વિગતવાર જણાવ્યું હતું. RAC નો અર્થ Reservation Against Cancellation છે. આ વ્યવસ્થામાં મુસાફરને મુસાફરી કરવાની મંજૂરી તો મળી જાય છે પરંતુ શરૂઆતમાં આખી બર્થ નથી મળતી. સામાન્ય રીતે બે RAC મુસાફરોને એક બર્થ પર બેસવાની જગ્યા આપવામાં આવે છે.

જો મુસાફરી શરૂ થતાં પહેલાં અથવા સફર દરમિયાન કોઈ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરની બર્થ ખાલી થાય છે, તો RAC મુસાફરને આખી બર્થ ફાળવી દેવામાં આવે છે. રેલવેનું કહેવું છે કે, RAC ટિકિટ ધારકને સ્લીપર અથવા AC કોચમાં, જેની તેમની પાસે ટિકિટ છે, તેમાં મુસાફરી કરવાનો પૂરો અધિકાર મળે છે.

તેમને ટ્રેનમાં વૈધ આરક્ષિત ટિકિટ સાથે મુસાફરી કરવાની મંજૂરી હોય છે અને મુસાફરી દરમિયાન તેમની સીટ કન્ફર્મ થવાની પણ શક્યતા રહે છે. આ જ કારણે RAC ટિકિટ પર પૂરેપૂરું ભાડું લેવામાં આવે છે. જો કોઈ મુસાફર RAC ટિકિટ પર મુસાફરી કરવા ન માંગતો હોય, તો તે ટિકિટ રદ (કેન્સલ) કરી શકે છે. આવા કિસ્સાઓમાં રેલવેના નિયમો અનુસાર તેમને રિફંડ પણ આપવામાં આવે છે.

ભારતીય રેલવેએ જણાવ્યું કે, તે ટ્રેનોમાં મુસાફરોની માગ પર સતત નજર રાખે છે. એવામાં જ્યાં જરૂર હોય ત્યાં વધારાના કોચ જોડવામાં આવે છે અને સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવે છે, જેથી વધુમાં વધુ મુસાફરોને સીટ મળી શકે.