
ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ટિકિટ કન્ફર્મ થયા પછી મુસાફરોને લાગે છે કે, હવે તેમની સીટ સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ ઘણીવાર એક નાનકડી ભૂલ તમારી કન્ફર્મ સીટ પણ છીનવી શકે છે. ખાસ વાત એ છે કે, મોટાભાગના મુસાફરો આ નિયમને ગંભીરતાથી લેતા નથી અને પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રેલવેના નિયમો મુજબ, જો તમે તમારા નિર્ધારિત બોર્ડિંગ પોઈન્ટ (જ્યાંથી તમારે ટ્રેન પકડવાની હતી) પરથી ટ્રેનમાં નથી ચઢતા, તો TTE તમારી સીટ ખાલી માની શકે છે. નિયમ મુજબ, જો મુસાફર આગામી બે સ્ટેશન સુધી પોતાની સીટ પર નથી પહોંચતો, તો TTE તે સીટને 'No Show' માનીને પછીના સ્ટેશનો પર હાજર વેઈટિંગ લિસ્ટ વાળા મુસાફરો અથવા બીજા જરૂરિયાતમંદોને ફાળવી શકે છે. આવી સ્થિતિમાં કન્ફર્મ ટિકિટ હોવા છતાં તમે તમારી સીટ પર દાવો કરી શકશો નહીં.

તકનીકી રીતે ટિકિટ સંપૂર્ણપણે કેન્સલ થતી નથી પરંતુ તમારી સીટ તમારા હાથમાંથી નીકળી જાય છે. TTE પાસે એ અધિકાર છે કે, તે તમારી ગેરહાજરીમાં સીટ બીજા કોઈને આપી દે. ઘણીવાર મુસાફરો વિચારે છે કે, તેઓ આગામી સ્ટેશનથી ટ્રેન પકડી લેશે પરંતુ સૂચના આપ્યા વિના આવું કરવું જોખમી હોઈ શકે છે.

'રેલવે' મુસાફરોને બોર્ડિંગ સ્ટેશન બદલવાની સુવિધા પણ આપે છે. મુસાફરો ટ્રેન છૂટવાના અંદાજે 30 મિનિટ પહેલા સુધી પોતાનો બોર્ડિંગ પોઈન્ટ બદલી શકે છે. આ સુવિધા ઓનલાઈન અને રેલવે કાઉન્ટર બંને જગ્યાએ ઉપલબ્ધ હોય છે. ઘણા કિસ્સાઓમાં ચાર્ટ બન્યા પછી પણ ફેરફારની સુવિધા મળી શકે છે. ઘણા લોકો વિચારે છે કે, કન્ફર્મ ટિકિટ થયા પછી તેઓ કોઈપણ સ્ટેશનથી ટ્રેન પકડી શકે છે પરંતુ રેલવેના નિયમો અલગ છે. જો તમે બોર્ડિંગ સ્ટેશન અપડેટ નથી કર્યું, તો સિસ્ટમ તમને 'નો શો' માની શકે છે. આવી સ્થિતિમાં TTE વેઈટિંગ વાળા મુસાફરોને સીટ આપી શકે છે.

જો બીજા કોઈ સ્ટેશનથી ટ્રેન પકડવી હોય, તો સમયસર બોર્ડિંગ પોઈન્ટ બદલો. ટ્રેન છૂટતા પહેલા IRCTC વેબસાઇટ અથવા એપ પર માહિતી અપડેટ કરો. ત્યારબાદ SMS અને ટિકિટની વિગતો ચોક્કસથી તપાસો. બીજું કે, છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ, કારણ કે ચાર્ટ બન્યા પછી વિકલ્પો મર્યાદિત હોઈ શકે છે.