
આધુનિક યુદ્ધ હવે લાંબા અંતરના હથિયારોથી લડવામાં આવે છે. યુદ્ધમાં બેલેસ્ટિક મિસાઇલો, ક્રૂઝ મિસાઇલો, સબસોનિક ડીપ-સ્ટ્રાઇક મિસાઇલો, મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર અને કામિકાઝ ડ્રોનની ભૂમિકા સૌથી મહત્વની બની ગઈ છે. એવામાં ભારતના એવા 5 હથિયારો વિશે જાણીએ કે, જે સેંકડો કિલોમીટર દૂરના લક્ષ્યોને નષ્ટ કરવા માટે જ વિકસાવવામાં આવ્યા છે.

ભારત પાસે ઘણા પ્રકારની બેલેસ્ટિક મિસાઇલો છે. ભારતની 'અગ્નિ' અને 'K-4' જેવી મિસાઇલો મુખ્યત્વે પરમાણુ હુમલાની ક્ષમતા (Nuclear Deterrence) માટે તૈયાર કરવામાં આવી છે. તેની સરખામણીએ, 'પ્રલય' બેલેસ્ટિક મિસાઇલ એક એવું શક્તિશાળી હથિયાર છે કે, જેને ખાસ કરીને પરંપરાગત યુદ્ધ (Conventional Warfare) દરમિયાન વોરહેડ લઈ જવા માટે વિકસાવવામાં આવ્યું છે. 'પ્રલય'ની મારક ક્ષમતા 150 થી 500 કિલોમીટર સુધીની છે. તે દુશ્મનના એર ડિફેન્સને થાપ આપવા માટે હવામાં જ પોતાની દિશા બદલવામાં સક્ષમ છે. આ મિસાઇલનું નામ સાંભળતા જ પાકિસ્તાનમાં ભારે ફફડાટ જોવા મળે છે.

ભારત પાસે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 'બ્રહ્મોસ' છે. આ મિસાઇલ 'હવા, જમીન અને યુદ્ધ જહાજ' એમ ત્રણેય સ્થાનેથી છોડી શકાય છે. આની રેન્જ વધારીને હવે 800 કિલોમીટર કરવામાં આવી રહી છે. મેક-3ની ઝડપ ધરાવતી બ્રહ્મોસને રોકવી દુનિયાની અદ્યતન ડિફેન્સ સિસ્ટમ માટે પણ મુશ્કેલ છે. આ જ કારણ છે કે, ચીન જેવા દેશો પણ તેનાથી ડરે છે.

ભારતના હથિયારોના ભંડારમાં સબસોનિક ડીપ-સ્ટ્રાઇક મિસાઇલો પણ છે, જેમાં 'નિર્ભય' મિસાઇલ સૌથી ખાસ છે. નિર્ભયને ભારતની 'સાયલન્ટ કિલર' મિસાઇલ પણ કહેવામાં આવે છે. તે 1000 થી 1500 કિમી સુધી નિશાન સાધવામાં સક્ષમ છે અને તેની રેન્જમાં આખું પાકિસ્તાન આવી જાય છે. તે રડારની પકડમાંથી બચવા માટે અત્યંત ઓછી ઊંચાઈ પર ઉડે છે.

ભારત પાસે અનેક પ્રકારની મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. આમાં સૌથી શક્તિશાળી સ્વદેશી 'પિનાકા' ગાઈડેડ રોકેટ પ્રણાલી છે. પિનાકાના વર્તમાન વર્ઝન 90 કિમી સુધી હુમલો કરી શકે છે અને તેના 300 કિમી રેન્જવાળા વર્ઝન પર કામ ચાલુ છે. પિનાકાની એક બેટરી માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટનો વરસાદ કરી શકે છે.

ભારત પાસે લાંબા અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ કામિકાઝ ડ્રોનનો મોટો કાફલો છે. ઇઝરાયેલ પાસેથી ખરીદેલા નવા 'હેરોન માર્ક-2' ડ્રોન એક જ ઉડાનમાં ચીન અને પાકિસ્તાન બંનેની સરહદો પર દેખરેખ રાખી શકે છે. આ ડ્રોન સતત 36 કલાક સુધી કામ કરી શકે છે અને દુશ્મનના ઠેકાણાઓની સચોટ માહિતી આપી શકે છે.

ઓપરેશન સિંદૂર બાદ ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અનેક ગણી તેજી આવી છે. આર્મી, નેવી અને એરફોર્સને સતત આધુનિક હથિયારો, યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.