
ભારતીય રસોડામાં જ્યારે પણ કોઈ ખાસ મહેમાન આવવાના હોય અથવા કોઈ ઉત્સવ હોય, ત્યારે મેનૂમાં સૌથી પહેલું નામ 'પનીર'નું હોય છે. શાકાહારીઓ માટે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત ગણાતું પનીર જો ખાવામાં રબર જેવું લાગે તો આખી રસોઈનો સ્વાદ બગડી જાય છે. હાલમાં FSSAI દ્વારા નકલી પનીર વિરુદ્ધ દેશવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે લોકો ઘરે જ પનીર બનાવવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ, ઘરે બનાવેલું પનીર કેમ બજાર જેવું પોચું નથી હોતું?

કેમ સખત થઈ જાય છે ઘરનું પનીર?: મોટાભાગના લોકો પનીર બનાવતી વખતે બે મુખ્ય ભૂલો કરે છે: ઓવર-કુકિંગ: દૂધ ફાટી ગયા પછી પણ તેને ઉકાળતા રહેવાથી પનીર સખત થઈ જાય છે. વધારે દબાણ: પનીરને સેટ કરવા માટે તેના પર કલાકો સુધી ભારે વજન રાખવાથી તેની બધી જ નમી (ભેજ) નીકળી જાય છે, પરિણામે તે સૂકું અને સખત બને છે.

બજાર જેવું સોફ્ટ પનીર બનાવવાની 5 જાદુઈ ટ્રિક્સ: 1. ખાટાશ ઉમેરવાની સાચી રીત દૂધને ફાડવા માટે લીંબુ કે વિનેગર એકસાથે ન નાખો. એક-એક ચમચી કરીને ઉમેરો અને ધીમેથી હલાવો. જેવું પાણી આછું લીલું અને ચોખ્ખું દેખાય એટલે તરત જ ખાટાશ ઉમેરવાનું બંધ કરી દો.

2. ગેસ બંધ કરવામાં મોડું ન કરો: દૂધ જેવું ફાટી જાય અને છેના અલગ પડી જાય, તેવી જ સેકન્ડે ગેસ બંધ કરી દેવો જોઈએ. જો તમે તેને ઉકાળતા રહેશો તો પનીર ચ્યુઈંગ ગમ જેવું ખેંચાવા લાગશે.

3. ઠંડા પાણીનો ઉપયોગ: પનીરને ગાળ્યા પછી તરત જ તેના પર નળનું ઠંડુ પાણી રેડો. આનાથી કુકિંગ પ્રોસેસ અટકી જશે અને લીંબુ કે વિનેગરની ખાટાશ પણ દૂર થઈ જશે, જેનાથી પનીરની સોફ્ટનેસ અકબંધ રહેશે.

4. દબાણનો સમય નક્કી કરો: પનીર પર 4-5 કિલો વજન કલાકો સુધી રાખવાની જરૂર નથી. જો તમારે શાક બનાવવું હોય તો 30-40 મિનિટનું દબાણ પૂરતું છે. જો તમે 50 મિનિટથી વધુ સમય સુધી દબાણ આપશો તો પનીર સખત થઈ જશે.

5. બરફવાળા પાણીનું રહસ્ય: પનીર પરથી વજન હટાવ્યા પછી તેને સીધું કાપવાને બદલે 10-15 મિનિટ માટે બરફવાળા ઠંડા પાણીમાં ડુબાડી રાખો. આનાથી પનીરનું બહારનું પડ સેટ થઈ જશે અને અંદરથી તે એકદમ રૂ જેવું પોચું અને મલાઈદાર રહેશે.

હવે જ્યારે પણ ઘરે પનીર બનાવો, ત્યારે આ સિક્રેટ ટ્રિક્સ જરૂર અજમાવજો. તમારી રસોઈમાં બજાર જેવો જ સ્વાદ આવશે અને પરિવારના સભ્યો પણ ખુશ થઈ જશે.