
ભારતના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જોમાંનું એક સ્ટોક એક્સચેન્જ આ વર્ષે 20 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે તેની છેલ્લી દિવાળી ઉજવી શકે છે. એક દાયકા લાંબી કાનૂની લડાઈ (ભારતીય સ્ટોક એક્સચેન્જ ઇતિહાસ) પછી આ ઐતિહાસિક એક્સચેન્જ હવે Voluntary Exit પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

વર્ષ 2013 માં, SEBI એ રેગ્યુલેટરી નોન-કમ્પ્લાયન્સને કારણે CSE (Calcutta Stock Exchange) પર ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું હતું. વર્ષો સુધી કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા અને કામગીરી ફરી શરૂ કરવાના પ્રયાસો પછી એક્સચેન્જે હવે તેનું લાઇસન્સ પરત કરવાનો નિર્ણય લીધો છે.

CSEના ચેરમેન દીપાંકર બોઝના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલી શેરધારકોની બેઠકમાં એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર નીકળવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી એક્ઝિટ અરજી સેબીને મોકલવામાં આવી છે અને હવે આ પ્રક્રિયા માટે એક વેલ્યુએશન એજન્સીની નિમણૂક કરવામાં આવી છે.

SEBIએ શ્રીજન ગ્રુપને ત્રણ એકર CSE જમીન ₹253 કરોડમાં વેચવાની પણ મંજૂરી આપી છે. આ સોદો સેબીની અંતિમ મંજૂરી પછી પૂર્ણ થશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, એક્ઝિટ પછી CSE એક હોલ્ડિંગ કંપની તરીકે કામ કરશે, જ્યારે તેની 100% પેટાકંપની (Subsidiary) 'CSE કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ' NSE અને BSE ના સભ્ય તરીકે બ્રોકિંગ ચાલુ રાખશે.

એક સમયે બોમ્બે સ્ટોક એક્સચેન્જને ટક્કર આપતું CSE વર્ષ 1908 માં સ્થાપિત થયું હતું. જો કે, ₹120 કરોડના કેતન પારેખ કૌભાંડને કારણે એક્સચેન્જની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કટોકટી બાદ રોકાણકારો અને નિયમનકારોનો વિશ્વાસ ડગી ગયો તેમજ ટ્રેડિંગ પ્રવૃત્તિઓ ધીમે ધીમે અટકી ગઈ.

મીડિયા રિપોર્ટસ મુજબ, વર્ષ 2024 ના અંતમાં CSE બોર્ડે બધા પેન્ડિંગ કોર્ટ કેસ પાછા ખેંચી લીધા અને વોલન્ટરી રીતે બહાર નીકળવાનું નક્કી કર્યું. કર્મચારીઓ માટે 20.95 કરોડ રૂપિયાનું VRS પેકેજ જારી કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વાર્ષિક આશરે 10 કરોડ રૂપિયાની બચત થશે. મોટાભાગના કર્મચારીઓએ આ યોજના સ્વીકારી લીધી છે, જ્યારે કેટલાક કર્મચારીઓને કાનૂની કામ સંભાળવા માટે કરાર પર રાખવામાં આવ્યા છે.
Published On - 6:21 pm, Sun, 19 October 25