
ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિનું મન કંઈકને કંઈક ઠંડું પીવાનું હોય છે. એવામાં ઘણા લોકો પોતાની તરસ છિપાવવા માટે ઠંડી બીયર પીતા હોય છે. કાળઝાળ તડકામાં ઠંડી બીયર ઠંડક તો જરૂર આપે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જણાવી દઈએ કે, તે શરીરને ડિહાઈડ્રેટ (પાણીની અછત) કરે છે. બીયરમાં આલ્કોહોલ હોય છે, જે શરીરના તાપમાનને વધારી શકે છે અને ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે.

એવું કહેવાય છે કે, બીયર પીવાથી શરીર ઠંડું થાય છે અને તે તરસ છિપાવે છે. જો કે, આ એક ભ્રમ છે. બીયર એક 'ડિહાઈડ્રેટિંગ' પીણું છે. આનો અર્થ એ છે કે, તે શરીરમાંથી પાણી ઓછું કરવાનું કામ કરે છે, જે ઉનાળામાં તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બીયર એક 'ડાયયુરેટિક' (Diuretic) પદાર્થ છે.

એવામાં જ્યારે તમે બીયર પીવો છો, ત્યારે તમારી કિડની સામાન્ય કરતા વધુ ઝડપથી શરીરમાંથી પાણી બહાર કાઢે છે. ઉનાળામાં આપણને પહેલેથી જ ખૂબ પરસેવો થતો હોય છે, જેના કારણે શરીરમાં પાણીની અછત હોય છે. આવા સમયે બીયર પીવાથી શરીરમાં પાણીનું સ્તર વધુ ઘટી જાય છે, જેનાથી ચક્કર આવવા, માથાનો દુખાવો અને નબળાઈ અનુભવાઈ શકે છે.

બીયર પીતી વખતે તમને અંદરથી ઠંડક લાગે પણ આલ્કોહોલ શરીરના આંતરિક તાપમાનને બગાડી દે છે. તે બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) ને ફેલાવી દે છે, જેનાથી ત્વચાની સપાટી પર ગરમી અનુભવાય છે પરંતુ શરીરના મહત્વના અંગોનું તાપમાન અસામાન્ય થઈ શકે છે. વધુ પડતી ઠંડી બીયર પીવાથી પાચનશક્તિ પર માઠી અસર પડે છે. આનાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને તમને એસિડિટી, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને ગેસની સમસ્યા થઈ શકે છે

આલ્કોહોલ શરીરની 'હીટ સેન્સિટિવિટી' ઘટાડી દે છે. ટૂંકમાં, તમારું શરીર કેટલું ગરમ થઈ રહ્યું છે, તેનો તમને અહેસાસ થતો નથી. આવી સ્થિતિમાં તડકામાં હીટ સ્ટ્રોક (લૂ લાગવી) આવવાનું જોખમ વધી જાય છે. બીયરમાં કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ઠંડી બીયર પીવાથી પેટની ચરબી (બેલી ફેટ) ઝડપથી વધે છે. સાથે જ, વધુ પડતા સેવનથી લિવર પર દબાણ આવે છે અને ફેટી લિવરની સમસ્યા શરૂ થઈ શકે છે.
Published On - 7:48 pm, Fri, 8 May 26