
ઘણા લોકોના દિવસની શરૂઆત આળસ અને સુસ્તી સાથે થાય છે. એલાર્મ વાગ્યા પછી પણ પથારી છોડવાનું મન નથી થતું અને તેની અસર આખા દિવસની ઊર્જા તથા કામ કરવાની ક્ષમતા પર પડી શકે છે. એવામાં સારી વાત એ છે કે, કેટલીક સરળ ટેવો અપનાવીને આ સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

આખી રાત ઊંઘ્યા પછી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. તેથી સવારે ઊઠતાની સાથે જ એક ગ્લાસ સાદું પાણી પીવાની ટેવ પાડો. તેનાથી શરીર સક્રિય અનુભવે છે અને દિવસની શરૂઆત સારી થાય છે.

સવારે 5 થી 10 મિનિટ સુધી સ્ટ્રેચિંગ, યોગ કે વોક (ચાલવું) કરો. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સુધરે છે અને સુસ્તી ઓછી અનુભવાય છે. સવારનો નાસ્તો ક્યારેય ન છોડો. નાસ્તામાં પ્રોટીન, ફાઇબર અને તાજા ફળો જેવી વસ્તુઓ એડ (Add) કરો. તેનાથી શરીરને જરૂરી પોષણ મળે છે અને લાંબા સમય સુધી ઊર્જા જળવાઈ રહે છે.

સવારે આંખ ખુલતાની સાથે જ મોબાઈલ પર સોશિયલ મીડિયા કે સતત સમાચાર જોવાની ટેવથી બચો. દિવસની શરૂઆત શાંત વાતાવરણમાં કરો, તેનાથી મન પણ સારું અનુભવે છે. 2 થી 3 મિનિટ સુધી ઊંડા શ્વાસ લો અથવા હળવું પ્રાણાયામ કરો. તેનાથી શરીરને પૂરતું ઓક્સિજન મળે છે અને મગજ વધુ સતર્ક અનુભવે છે.

સવારે ઊઠતાની સાથે જ વિચારો કે, આજનું સૌથી મહત્વનું કામ કયું છે. આ સિવાય જ્યારે દિવસની શરૂઆત એક સ્પષ્ટ લક્ષ્ય સાથે થાય છે, ત્યારે કામ કરવાનો ઉત્સાહ પણ વધે છે. જો શક્ય હોય તો સવારે થોડી મિનિટો બાલ્કની, અગાશી કે પાર્કમાં વિતાવો. હળવો તડકો અને તાજી હવા શરીરની બોડી ક્લોકને સુધારવામાં મદદ કરે છે અને મૂડ પણ સારો રહે છે.

જો પૂરતી ઊંઘ લીધા પછી પણ દરરોજ બહુ વધારે થાક, આળસ કે ઊંઘ અનુભવાતી હોય, તો તેનું કારણ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. એવામાં ડોક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે.