
દિવસભરના થાક પછી દરેક વ્યક્તિ માટે શાંતિપૂર્ણ અને સારી ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે. આ બધ વચ્ચે શું તમે જાણો છો કે, કેટલા કલાક ઊંઘો છો તે જ નહીં પણ તમે કઈ પોઝિશનમાં ઊંઘો છો, તેની પણ તમારી તંદુરસ્તી પર મોટી અસર પડી શકે છે? ખાસ કરીને હાર્ટબર્ન (છાતીમાં બળતરા) અને પાચન જેવી સમસ્યાઓમાં ઊંઘવાની પોઝિશન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઘણા લોકો રાત્રે જમ્યા પછી ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, એસિડિટી કે પેટમાં ભારેપણું હોવાની ફરિયાદ કરતા હોય છે. અવારનવાર આનું કારણ અનિયમિત ખાવા-પીવાની ટેવ અથવા મસાલેદાર ખોરાકને માનવામાં આવે છે. જો કે, ઘણી વખત ખોટી રીતે ઊંઘવાથી પણ આ તકલીફો વધી શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જમ્યા પછી તરત જ પીઠના બળે સીધા સૂઈ જવાથી કે પછી પૂરેપૂરા સપાટ સૂવાથી પેટનો એસિડ અન્નનળી તરફ પાછો આવવા લાગે છે. આના કારણે ખાટા ઓડકાર, છાતીમાં બળતરા અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને પહેલેથી જ ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિસીઝ (GERD) છે, તેમનામાં આ સમસ્યાઓ વધુ જોવા મળે છે.

ઘણી વખત પેટના બળે (ઊંધા) સૂવાથી પણ પેટ પર વધુ દબાણ પડે છે, જેના કારણે પાચન સંબંધિત અસ્વસ્થતા વધી શકે છે. આ કારણે મોડી રાત્રે ભારે ખોરાક લીધા પછી તરત જ સૂઈ જવું યોગ્ય ટેવ માનવામાં આવતી નથી. પાચન અને હાર્ટબર્ન બંને માટે ડાબી બાજુ પડખું ફરીને સૂવું ફાયદાકારક માનવામાં આવે છે. ડાબી તરફ પડખું ફરીને સૂવાથી ગુરુત્વાકર્ષણના કારણે પેટનો એસિડ અન્નનળીમાં પાછો જવાની શક્યતા ઘટી જાય છે. આનાથી એસિડ રિફ્લક્સ અને છાતીમાં બળતરાની સમસ્યા થતી નથી. કેટલાક લોકો માટે માથું અને ખભો ઊંચા રાખીને સૂવું પણ ફાયદાકારક હોય છે.

આવું કરવાથી પેટનો એસિડ ઉપરની તરફ આવતો નથી અને રાત્રે હાર્ટબર્નની ફરિયાદ પણ ઘટી શકે છે. જો કે, દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અલગ હોય છે. તેથી જો કોઈને સતત આ સમસ્યા રહેતી હોય, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડાબી બાજુ પડખું ફરીને રાત્રે સૂવાથી એસિડ રિફ્લક્સના લક્ષણોને ઓછા કરવામાં મદદ મળી શકે છે. આનાથી હાર્ટબર્ન અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ ઘટી શકે છે. તેનાથી ઊંઘ અને તેની ક્વોલિટી વધુ સારી થાય છે. જો વારંવાર એસિડ રિફ્લક્સની સમસ્યા થતી હોય, તો માત્ર ઊંઘવાની પોઝિશન બદલવા પર જ નિર્ભર ન રહેવું જોઈએ પરંતુ ડૉક્ટરની સલાહ અને સારવાર પણ જરૂરી છે.

રાત્રે સૂવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલાં ભોજન કરી લેવું જોઈએ, જેથી ખોરાકને પચવાનો સમય મળી શકે. રાત્રે વધુ મસાલેદાર, તળેલું અને વધુ તેલવાળું ખાવાથી પરહેજ કરવો જોઈએ. દારૂ, કેફીન અને ધૂમ્રપાન જેવી ટેવો પણ એસિડ રિફ્લક્સને વધારી શકે છે. જો વજન વધારે હોય, તો તેને પણ નિયંત્રિત કરો, કારણ કે 'મોટાપો' પેટ પર દબાણ વધારીને હાર્ટબર્નની સમસ્યા વધારી શકે છે.