
ડિલિવરી એપ્સ પર ઓર્ડર પહોંચાડનારા, ઘરોમાં કામ કરનારા અને દરરોજ કમાઈને ગુજરાન ચલાવનારા લાખો ગિગ વર્કર્સ (Gig Workers) ને સરકાર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરળ શબ્દોમાં જોઈએ તો, હવે એવા લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે કે, જેમની પાસે કાયમી નોકરી, પગાર સ્લિપ કે મજબૂત CIBIL સ્કોર નથી.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવી 'માઇક્રોક્રેડિટ સ્કીમ' શરૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ કોઈપણ ગેરંટી વગર 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજના એપ્રિલથી અમલમાં આવી શકે છે. આનું માળખું કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્કીમનો હેતુ સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, બ્લિંકિટ જેવા પ્લેટફોર્મ્સ પર કામ કરતા ડિલિવરી વર્કર્સ, ઘરેલું મદદનીશો અને બીજા અસંગઠિત શહેરી કામદારો (Other Unorganized Urban Workers) ને આર્થિક ટેકો આપવાનો છે.

સરકાર દર વર્ષે પાત્ર લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધીની માઇક્રો લોન ઉપલબ્ધ કરાવશે. આનાથી તેઓ બાઇક, મોબાઇલ ફોન અથવા કામ સાથે જોડાયેલી જરૂરી વસ્તુઓ ખરીદી શકે છે.

આ નવી સ્કીમ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM-SVANidhi) યોજનાથી પ્રેરિત હશે. પીએમ-સ્વનિધિ હેઠળ પ્રથમ તબક્કામાં 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે, જેને સમયસર ચૂકવવા પર આગળ 20,000 અને પછી 50,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે.

આની સાથે જ 7% વ્યાજ સબસિડી અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા જેવા ફાયદા પણ મળે છે. નવી ગિગ વર્કર્સ સ્કીમમાં પણ આ પ્રકારનું જ માળખું અપનાવવામાં આવે તેવી શક્યતા છે. આ સ્કીમનો લાભ એ જ કામદારોને મળશે કે, જેમની ઓળખ સરકારી રેકોર્ડમાં નોંધાયેલી હશે.

ઈ-શ્રમ (e-Shram) પોર્ટલ પર નોંધાયેલા ગિગ વર્કર્સ, ઘરેલું મદદનીશો અને બીજા અસંગઠિત કામદારો આ લોન માટે પાત્ર હોઈ શકે છે. ટૂંકમાં જેઓની પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), આધાર જેવા માન્ય દસ્તાવેજો હશે અને જેમનો રેકોર્ડ વેરિફાઈ થયેલો (સત્યાપિત) હશે, તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.

સરકારનું માનવું છે કે, મોટી સંખ્યામાં ગિગ વર્કર્સ એવા છે કે, જેઓ બેંકો પાસેથી લોન મેળવી શકતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે, તેમની પાસે કોઈ ઔપચારિક આવક (Income Proof) નો પુરાવો કે ક્રેડિટ હિસ્ટ્રી હોતી નથી. આ નવી સ્કીમ તેમની આ સમસ્યાનું સમાધાન કરશે અને વધુમાં તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.

નવેમ્બર 2025 સુધીમાં ઈ-શ્રમ પોર્ટલ પર 31 કરોડથી વધુ અસંગઠિત કામદારો અને લાખો ગિગ વર્કર્સ નોંધાઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, આ સ્કીમ માત્ર આર્થિક મદદનું માધ્યમ જ નહીં બને પરંતુ લાખો લોકોને ઔપચારિક નાણાકીય માળખા (Formal Financial System) સાથે જોડવાનો માર્ગ પણ ખોલશે.