
ગોલ્ડ ETF અને સિલ્વર ETF એવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે કે, જે સોના અને ચાંદીના ભાવોને ટ્રેક કરે છે. આ ફંડ્સ વાસ્તવિક સોના-ચાંદી પોતાની પાસે રાખે છે અને રોકાણકારોને ફિઝિકલ મેટલ ખરીદ્યા વિના જ રોકાણ કરવાની તક આપે છે. આ ETFની સૌથી મોટી ખાસિયત એ છે કે, રોકાણકારોએ સોનું કે ચાંદી સાચવવાની, તેની સુરક્ષાની કે ઇન્સ્યોરન્સની ચિંતા કરવી પડતી નથી. આને શેરની જેમ જ બજારમાં સરળતાથી ખરીદી અને વેચી શકાય છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, સોનામાં આવેલી તેજી પાછળનું સૌથી મોટું કારણ દુનિયાની કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલી ભારે ખરીદી છે. કેટલાય દેશોએ અમેરિકન ડોલર પરની પોતાની નિર્ભરતા ઓછી કરવા માટે મોટાપાયે સોનું ખરીદ્યું. આ સિવાય વ્યાજ દરોમાં કાપ, મોંઘવારી અને જીઓ-પોલિટિકલ તણાવે પણ સોનાને સપોર્ટ આપ્યો.

બીજી તરફ, ચાંદીની વાર્તા થોડી અલગ રહી. ચાંદીને સુરક્ષિત રોકાણની સાથે-સાથે ઔદ્યોગિક માંગનો પણ ફાયદો મળ્યો. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ, 5G નેટવર્ક, મેડિકલ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વધતી માંગે ચાંદીના ભાવને ઝડપથી ઉપર પહોંચાડ્યા છે. વર્ષ 2025 માં ચાંદીનો પુરવઠો માંગની સરખામણીએ ઓછો રહ્યો હતો, જેના કારણે કિંમતોમાં વધુ ઉછાળો આવ્યો.

પાછલા 5 વર્ષમાં ગોલ્ડ ETF એ મજબૂત વળતર આપ્યું છે. SBI Gold ETF એ આશરે 210% સુધીનું વળતર આપ્યું છે, જ્યારે Nippon India Gold ETF અને ICICI Prudential Gold ETF એ પણ 206% થી વધુ વળતર આપ્યું છે. આ સિવાય પાછલા 5 વર્ષમાં સિલ્વર ETF એ ગોલ્ડ ETF ને ઘણું પાછળ છોડી દીધું છે. HDFC Silver ETF એ આશરે 376% નું વળતર આપ્યું છે, જ્યારે Nippon India Silver ETF એ 319% અને ICICI Prudential Silver ETF એ લગભગ 294% નું વળતર આપ્યું છે. વળતરની બાબતમાં સિલ્વર ETF એ રોકાણકારોને વધુ કમાણી કરાવી છે. આવું થવું સ્વાભાવિક પણ છે, કારણ કે સોનાની સરખામણીએ ચાંદી વધુ મોંઘી થઈ છે.

જો રોકાણકારો સ્થિરતા અને ઓછું જોખમ ઈચ્છતા હોય, તો ગોલ્ડ ETF ને વધુ સારો વિકલ્પ ગણી શકાય. આર્થિક અનિશ્ચિતતાના સમયે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેના ભાવમાં ઉતાર-ચઢાવ ચાંદીની સરખામણીએ ઓછા હોય છે.

બીજી તરફ, સિલ્વર ETF વધુ વળતર આપવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાં ઉતાર-ચઢાવ પણ વધારે હોય છે. ચાંદીના ભાવ ઔદ્યોગિક માંગ પર ખૂબ આધાર રાખે છે, તેથી તેમાં તેજી અને મંદી બંને ખૂબ ઝડપી આવી શકે છે. આવામાં રોકાણકારોએ પોતાની જોખમ લેવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ.