
ભારતમાં સોના પ્રત્યે લોકોની ઘેલછા ઓછી કરવી મોદી સરકાર માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અને સરકાર દ્વારા સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરવામાં આવી હોવા છતાં ભારતીય ગ્રાહકોનું સોના પ્રત્યેનું આકર્ષણ જરાય ઓછું થયું નથી.

દેશના સૌથી મોટા જ્વેલરી રિટેલર અને ટાટા ગ્રુપની કંપની ટાઇટનના તાજેતરના પરિણામો અને માંગના આંકડા પરથી આ સ્પષ્ટ જાહેર થાય છે. રિપોર્ટ અનુસાર, તાજેતરના ત્રિમાસિક ગાળામાં ટાઇટનનો નફો 63% વધી ગયો છે. સ્ટોર્સમાં ગ્રાહકોની અવરજવરમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો. મેનેજિંગ ડિરેક્ટર અજય ચાવલાના જણાવ્યા અનુસાર, 'ગ્રાહકોનો સોના અને જ્વેલરી પ્રત્યેનો પ્રેમ ક્યારેય પૂરો થવાનો નથી. તેઓ આને માત્ર દાગીના તરીકે જ નહીં પરંતુ એક સુરક્ષિત એસેટ અને મજબૂત પોર્ટફોલિયો રોકાણ તરીકે જુએ છે.'

કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો અને મધ્ય પૂર્વમાં તણાવના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ બની રહ્યું હતું તેમજ રૂપિયો નબળો પડી રહ્યો હતો. રૂપિયાને ટેકો આપવા અને આયાત બિલ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મે મહિનામાં સોના પર આયાત શુલ્ક વધારીને 15% કરી દીધો હતો. આ સાથે જ પીએમ મોદીએ આમ જનતાને અપીલ કરી હતી કે, તેઓ ઓછામાં ઓછા એક વર્ષ માટે એટલે કે જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય, ત્યાં સુધી સોનાની ખરીદી ટાળે.

તાજેતરના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, જૂન ત્રિમાસિક ગાળામાં ભારતમાં ગોલ્ડ જ્વેલરીનું વેચાણ વાર્ષિક ધોરણે એક-તૃતીયાંશ વધીને $21 અબજ (લગભગ ₹1.75 લાખ કરોડ) પર પહોંચી ગયું. તહેવારો અને લગ્નસરાની સીઝનના કારણે આ અપીલ બિન અસરકારક સાબિત થઈ. ટાઇટનના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અશોક સોંથાલિયાએ જણાવ્યું કે, ભારતમાં ભલે મધ્યમ-વર્ગીય પરિવારો હવે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઝડપથી પૈસા રોકી રહ્યા છે, છતાં સોનાનું મહત્વ ઓછું થયું નથી.

હવે આગળ પછી ભલે કોઈ ગમે તેટલું નાણાકીય રીતે સમજદાર કેમ ન હોય, તે પોતાના પોર્ટફોલિયોમાં સોનાને ચોક્કસપણે ઉમેરશે. આનું જ પરિણામ છે કે, ભારતીય શેરબજારના પ્રમુખ સૂચકાંક નિફ્ટી 50 માં ઘટાડા છતાં આ વર્ષે ટાઇટનના શેરમાં લગભગ 25% નો ઉછાળો જોવા મળ્યો છે.