
જ્યારે કોઈ આપણું આ દુનિયા છોડીને ચાલ્યું જાય છે, ત્યારે તેની યાદો જ આપણો સહારો બને છે. ઘરમાં રાખેલી તેમની તસવીરો આપણને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે. પરંતુ સનાતન પરંપરા અને ગરુડ પુરાણ અનુસાર, મૃત પરિજનોની તસવીરો ગમે ત્યાં ન લગાવી શકાય. તેના માટે ખાસ નિયમો અને મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે.

ગરુડ પુરાણ અને વાસ્તુશાસ્ત્ર મુજબ, પિતૃઓની તસવીર હંમેશા ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશાની દીવાલ પર લગાવવી જોઈએ. આ દિશામાં ફોટો રાખવાથી જ્યારે તમે તેને જુઓ છો, ત્યારે પિતૃઓનું મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ રહે છે. આ દિશાઓને સકારાત્મક ઊર્જા અને દેવી-દેવતાઓની દિશા માનવામાં આવે છે, જેનાથી પિતૃઓના આશીર્વાદ હંમેશા પરિવાર પર બનેલા રહે છે.

ઘણા લોકો ભક્તિભાવમાં આવીને પિતૃઓની તસવીર ઘરના મંદિરમાં ભગવાનની સાથે જ મૂકી દે છે. ગરુડ પુરાણ અનુસાર આ તદ્દન ખોટું છે. પિતૃઓ ભલે ગમે તેટલા આદરણીય હોય, પરંતુ તેમને દેવી-દેવતાઓ સમાન સ્થાન આપી શકાય નહીં. ભગવાન અને પિતૃઓને એક જ સ્થાને રાખવા તે શાસ્ત્રોની મર્યાદા વિરુદ્ધ છે અને તેનાથી ઘરમાં દોષ ઉત્પન્ન થાય છે.

ઘરની સીડીઓ પાસે, બેડરૂમમાં કે દરેક રૂમના ખૂણામાં પિતૃઓની તસવીરો લગાવવાથી ઘરનું વાતાવરણ ભારે અને નકારાત્મક બને છે. એક જ વ્યક્તિની ઘણી બધી તસવીરો વારંવાર જોવાથી મન ભૂતકાળના દુખમાંથી બહાર આવી શકતું નથી. આનાથી ઘરમાં રહેતા સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

સૌથી મોટી ભૂલ જે અવારનવાર લોકો કરતા હોય છે તે છે - જીવિત લોકોની સાથે મૃત પામેલા પિતૃઓનો ફોટો ફ્રેમ કરાવવો. ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે આવું ક્યારેય ન કરવું જોઈએ. આનાથી ફોટામાં રહેલા જીવિત વ્યક્તિઓની આયુષ્ય અને સ્વાસ્થ્ય પર અત્યંત નકારાત્મક પ્રભાવ પડે છે.

ઘરની બરાબર વચ્ચેના ભાગને 'બ્રહ્મસ્થાન' કહેવામાં આવે છે, ત્યાં ક્યારેય પિતૃઓનો ફોટો ન લટકાવવો જોઈએ, આનાથી પરિવારના સભ્યોના માન-સન્માનમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત, રસોડામાં પિતૃઓનો ફોટો રાખવાથી ઘરમાં રોજેરોજ ક્લેશ, ઝઘડા અને આર્થિક તંગી એટલે કે પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે.

પિતૃઓની તસવીરને દીવાલ પર લટકાવવા કરતાં કોઈ મજબૂત સ્ટેન્ડ કે શેલ્ફ પર રાખવી વધુ ઉત્તમ માનવામાં આવે છે, ઘરના મેઈન ગેટ પર કે એવી જગ્યાએ ફોટો ન લગાવો જ્યાંથી આવતા-જતા કોઈ બહારના વ્યક્તિની નજર સીધી તેના પર પડે, પિતૃઓ કષ્ટમાં, બીમાર કે ઉદાસ હોય તેવી તસવીરો ક્યારેય ન રાખો. હંમેશા તેમનો હસતો અને શાંત ચહેરો હોય તેવી જ તસવીર પસંદ કરો.

સનાતન ધર્મ અને શાસ્ત્રોનો ઉદ્દેશ્ય મનુષ્યના મનમાં ડર પેદા કરવાનો નથી, પરંતુ તેની ભાવનાઓને સંતુલિત કરવાનો છે. પિતૃઓની તસવીરો મર્યાદિત સંખ્યામાં અને સાચી જગ્યાએ રાખવી જોઈએ. યાદોનું કામ આપણને પ્રેરણા આપવાનું છે, ઘરને ભૂતકાળના પાંજરામાં કેદ કરવાનું નહીં. પિતૃઓને દિલમાં અને શાસ્ત્રોક્ત મર્યાદામાં સ્થાન આપો, ઘરમાં સુખ-સમૃદ્ધિ આપોઆપ આવશે.
Published On - 3:46 pm, Tue, 16 June 26