સુરત શહેરનાં વિકાસ કાર્યનાં મહત્ત્વનાં પ્રોજેક્ટ સમાન મેટ્રોનાં નિર્માણ કાર્યમાં અડાજણ ખાતે આવેલું અને હેરિટેજ વૃક્ષનું બિરુદ મેળવનાર ચોર આમલાનું ઝાડ રસ્તાનાં મધ્યમાં જ તેની મૂળ જગ્યાએ યથાવત રહેશે.
અડાજણ ગામમાં આવેલું ચોર આમલો તરીકે જાણીતું ગોરખ આમલાનું વૃક્ષ કે જેને ગુલામ તરીકે સુરત આવેલા આફ્રિકન લોકો અહીં લઈ આવ્યા હતા. 500 વર્ષ બાદ પણ આ વૃક્ષ અડીખમ ઊભું રહીને જાણે સુરતનો ઈતિહાસ વર્ણવે છે.
અડાજણ એલ પી સવાણી રોડ વિસ્તાર માટે રોડ પહોળું કરવા અર્થે આ વૃક્ષ કાપવા માટે સુરત મહાનગર પાલિકાની ટીમ ગઈ હતી. પરંતુ અડાજણ ગામના લોકોએ વૃક્ષ ના કાપવા દીધું અને તેનો વિરોધ કર્યો હતો. ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. સુરત મહાનગર પાલિકાની ટીમ વૃક્ષ કાપ્યા વગર પાછી જવા મજબૂર બની હતી. આ ગામના લોકો આ વૃક્ષની પૂજા કરે છે.તેમજ આ વૃક્ષ સાથે ગામજનની આસ્થા જોડાયેલી છે.
આ ચોર આમલાના બે વૃક્ષ હતા. પરંતુ 2020 માં એક વૃક્ષ અચાનક ધરાશાયી થયુ હતુ. હવે એકજ વૃક્ષ છે. તે વિસ્તારમાં મેટ્રો ટ્રેનની કામગીર ચાલી રહી છે. પરંતુ આ વૃક્ષને કાપવા નહીં આવે તેવી માહિતી ગાર્ડન સુપ્રિટેન્ડન ચંદ્રકાંત રાઠોડ જણાવ્યું હતું.
અડાજણના આ ગોરખ આમલાનાં વૃક્ષને ગુજરાત રાજ્યના વન વિભાગ સુરત મહાનગરપાલિકા અને અડાજણ ગામનાં રહેવાસીઓનાં પ્રયાસોનાં કારણે હેરિટેજ વૃક્ષ તરીકે સાચવવામાં આવ્યું છે.