
મંદિરના અનુપમ સ્થાપત્ય અને અત્યંત વિસ્તૃત કલા-કારીગરી અને બારીક નકશીકામ નિહાળીને સૌ મહાનુભાવો અભિભૂત થયા હતા, તેમજ આ સમગ્ર સ્થાપત્ય દ્વારા ઉજાગર થતા આધ્યાત્મિક ઉન્નતિ, સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સામાજિક સેવાના સંદેશને સૌએ આત્મસાત કર્યો હતો. મંદિરની અંદર પ્રતિનિધિઓએ પ્રાર્થના કરી હતી, સાથે સાથે મંદિરના આગળના ભાગ પર અદભુત રીતે કોતરવામાં આવેલી વિશ્વની પ્રાચીન સભ્યતાઓની વિવિધ મૂલ્ય- વાર્તાઓને નિહાળીને અહોભાવ વ્યક્ત કર્યો હતો.

મંદિરમાં પર્યાવરણીય જાગરૂકતા- સસ્ટેનિબિલિટીના પ્રતીક ' ધ ઓર્ચાર્ડ' માં સાંજના કાર્યક્રમનું સમાપન કરતા મંદિરના મુખ્ય સંત પૂ.બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તેઓના સંબોધનમાં કહ્યું: "અબુ ધાબીમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર ભગવાન અને માનવતા પ્રત્યેના આપણા ઊંડા પ્રેમને, વૈશ્વિક સંવાદિતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને તેમજ સંઘર્ષરત લોકોમાં પણ ધરબાયેલી શાંતિની ઝંખનાને પ્રતિબિંબિત કરે છે. વિશ્વમાં અનેક પુષ્પો, ચહેરાઓ અને જાતિઓની વિશાળ વિવિધતા આપણી તે માન્યતાને મજબૂત બનાવે છે કે - જેમણે આ સૃષ્ટિનું, આપણાં સૌનું સર્જન કર્યું છે તે પણ ‘વૈવિધ્યમાં એક્તા’માં માને છે."

બ્રહ્મવિહારીદાસ સ્વામીએ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો મંદિર નિર્માણમાં તેમની ઉદારતા અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણે ફક્ત આપણા પોતાના હિત માટે જ નહીં, પરંતુ વધુ સારા, વધુ શાંતિપૂર્ણ વિશ્વ માટે, અને વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વધુ સ્થિરતા લાવવા માટે, સકારાત્મક વિચારસરણી દ્રઢ કરવી જોઈએ.
Published On - 9:31 am, Thu, 16 January 25