
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના YS રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 2જી ફેબ્રુઆરીએ આ મેચ માટે બંને ટીમો એકબીજા સાથે ટકરાશે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં વાપસી કરવાનું લક્ષ્ય રાખશે.

વિશાખાપટ્ટનમના વાય એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમની પીચને બેટ્સમેનનું સ્વર્ગ માનવામાં આવે છે. ODI હોય, T20 હોય કે ટેસ્ટ મેચ, આ મેદાન પર ઘણા બધા રન બને છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં એવી આશા રાખવામાં આવે છે કે પીચ બેટ્સમેનો માટે મદદરૂપ થશે અને ચોથી ઈનિંગમાં બોલરો તેના પર પોતાનો જાદુ બતાવી શકે છે.

બીજી ટેસ્ટ મેચમાં પહેલા બે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસથી આકાશ સાફ રહેશે. તાપમાન 23 થી 31 ડિગ્રીની વચ્ચે રહેશે.

આ મેદાન પર જે પણ ટીમ ટોસ જીતે છે, તે પ્રથમ દાવમાં મોટો સ્કોર કરીને વિરોધી ટીમને સખત પડકાર આપવાનો પ્રયાસ કરશે, કારણ કે ત્રીજા દિવસ પછી પિચ બોલરોને અનુકૂળ થવાનું શરૂ કરશે. આ રીતે ચોથી ઇનિંગ્સમાં બેટિંગ કરી રહેલી ટીમ માટે રન બનાવવું આસાન નહીં હોય.

વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ પણ મજબૂત રહ્યો છે. જો આ મેદાન પર ટીમ ઈન્ડિયાના સૌથી મોટા સ્કોર વિશે વાત કરીએ તો તે 502 રન છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત અહીં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 203 રનથી મેચ જીતી હતી. આ મેદાન પર 2016માં ઈંગ્લેન્ડ સાથે ભારતની ટક્કર થઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 246 રનથી હરાવ્યું હતું.
Published On - 6:54 pm, Thu, 1 February 24