
ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં હાર બાદ શ્રીલંકાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમના બે મહત્વના બેટ્સમેન બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે, જેના કારણે પસંદગીકારોએ ટીમમાં કામિલ મિશારા અને સહાન અરાચિગેનો સમાવેશ કર્યો છે.

કામિલ મિશારાએ ટીમમાં પસંદગી પહેલાં જબરદસ્ત બેટિંગ કરી હતી. નોન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ તરફથી રમતા તેણે બ્લૂમફિલ્ડ સામે માત્ર 72 બોલમાં 145 રનની તોફાની ઇનિંગ રમી હતી.

મિશારાની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થતો હતો. એટલે કે તેણે માત્ર બાઉન્ડ્રીથી જ 110 રન બનાવ્યા હતા. આ સ્કોર શ્રીલંકાના બેટ્સમેનનો T20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર પણ બન્યો.

શ્રીલંકાએ દિનેશ ચંદીમલની ઈજા બાદ મિશારાને ટીમમાં સામેલ કર્યો છે, જ્યારે કુસલ મેન્ડિસ પણ હજુ સંપૂર્ણ ફિટ થયો નથી. મિશારા અને અરાચિગે બંનેએ અત્યાર સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી.

હવે સૌથી મોટો સવાલ એ છે કે 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાનારી બીજી ટેસ્ટમાં બંનેમાંથી કોને પ્લેઇંગ-11માં તક મળશે. મિશારાનો ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ પણ શાનદાર છે અને તેની તોફાની T20 ઇનિંગ બાદ ભારત સામે તેને તક મળવાની શક્યતા વધી છે. (PC:PTI/X)
Published On - 9:50 pm, Thu, 20 August 26