
ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળે આગામી ACC મેન્સ પ્રીમિયર કપ માટે ટીમની જાહેરાત કરી છે. આ સાથે નવા ODI કેપ્ટન તરીકે સંદીપ લામિછાનેની નિમણૂક કરવામાં આવી છે. તે રોહિત પૌડેલનું સ્થાન લેશે.

સંદીપ લામિછાને અગાઉ પણ નેપાળની ODI ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. 2022માં તેણે 14 ODIમાં ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન નેપાળે ચાર મેચ જીતી, જ્યારે નવમાં હારનો સામનો કર્યો હતો.

લામિછાને પાસે 77 ODIનો અનુભવ છે, જેમાં તેણે 154 વિકેટ ઝડપી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેના નામે 78 મેચમાં 142 વિકેટ છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી નવ મેચ રમી ચૂક્યો છે.

સંદીપ પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. જાન્યુઆરી 2024માં કાઠમંડુ જિલ્લા અદાલતે તેને દોષિત ઠેરવી આઠ વર્ષની સજા ફટકારી હતી. જોકે, મે 2024માં હાઇકોર્ટે આ નિર્ણય પલટી નાખ્યો અને તેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો.

કોર્ટમાંથી રાહત મળ્યા બાદ સંદીપે ક્રિકેટમાં વાપસી કરી હતી. હવે નેપાળે ફરી તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આગામી પ્રીમિયર કપમાં તે ટીમને કેવી રીતે આગળ લઈ જાય છે તેના પર સૌની નજર રહેશે. (PC:PTI/X)