
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા તાજેતરના સુરક્ષા વિશ્લેષણ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા Z શ્રેણીમાંથી ઘટાડીને Y શ્રેણીમાં કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં VIP સુરક્ષા પ્રોટોકોલની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે, જેના આધારે આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે.

2023માં ગાંગુલીની સુરક્ષા Y શ્રેણીમાંથી વધારીને Z શ્રેણી કરવામાં આવી હતી. તે સમયે ગાંગુલીની જાહેર જીવનમાં હાજરી અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને વધુ સુરક્ષા આપવામાં આવી હતી. જોકે તાજેતરના મૂલ્યાંકન મુજબ હવે તેને Z શ્રેણીની જરૂરિયાત નથી એવું તારણ કાઢવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના નિર્ણય મુજબ સુરક્ષા ઘટાડવાનું કારણ સંપૂર્ણપણે વહીવટી અને સુરક્ષા આધારિત વિશ્લેષણ છે. કોઈ પણ પ્રકારની વિશેષ ઘટના કે જોખમની માહિતી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય VIP સુરક્ષા પુનઃસમીક્ષા પ્રક્રિયાનો ભાગ છે.

મમતા બેનર્જીની સરકાર હતી ત્યારે ગાંગુલીને Z શ્રેણી સુરક્ષા આપવામાં આવી હતી. હવે નવી સમીક્ષા બાદ તેને Y શ્રેણીમાં બદલવામાં આવી છે, જે રાજ્યના નિયમિત સુરક્ષા ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે.

સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેણે ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તે ક્રિકેટ બોર્ડનો પ્રમુખ પણ રહ્યો હતો. હાલમાં ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલો છે. (PC:PTI/X)
Published On - 9:12 pm, Wed, 3 June 26