
ભારતીય ટીમ માટે આગામી કેટલાક મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. શ્રીલંકા પ્રવાસ બાદ ઘરઆંગણે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી રમાશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેનો પ્રવાસ શરૂ થશે.

ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે. આ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની કુલ 12 મેચ રમાશે, જેના કારણે ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા વધી ગઈ છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, 24 ઓગસ્ટથી શરૂ થયેલા પ્રી-સેલના પ્રથમ 48 કલાકમાં 26,000 ટિકિટો વેચાઈ ગઈ છે. ખાસ કરીને ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાનારી વ્હાઇટ-બોલ મેચોની ટિકિટ માટે ભારે માંગ જોવા મળી છે.

ક્રાઇસ્ટચર્ચનું હેગલી ઓવલ પણ ચાહકોનું કેન્દ્ર બન્યું છે. અહીં 22 અને 24 ઓક્ટોબરે બે T20 મેચ રમાશે. આ ઉપરાંત 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી બીજી ટેસ્ટ પણ અહીં યોજાશે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ ઝડપી ટિકિટ વેચાણ પર ખુશી વ્યક્ત કરી હતી. સામાન્ય લોકો માટે ટિકિટનું વેચાણ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ભારતની પાંચ T20, પાંચ વનડે અને બે ટેસ્ટની આ લાંબી શ્રેણી માટે ચાહકોમાં અત્યારથી જ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. (PC:PTI/X)