
કેન્સર આજે દુનિયાભરમાં ઝડપથી વધી રહેલા ગંભીર રોગોમાંથી એક છે. ઘણા લોકો માનતા હોય છે કે કેન્સર માત્ર આનુવંશિક કારણોસર થાય છે, પરંતુ નિષ્ણાતોના મતે આપણા દૈનિક જીવનની કેટલીક ખરાબ આદતો પણ કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધારી શકે છે. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આદતો લાંબા ગાળે શરીરના કોષોમાં નુકસાન પહોંચાડે છે અને ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. તેથી સમયસર સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

રાત્રે લાંબા સમય સુધી મોબાઇલ, લેપટોપ અથવા ટીવી સ્ક્રીનનો ઉપયોગ કરવાથી શરીરની કુદરતી ઊંઘની પ્રક્રિયા પર અસર પડે છે. સ્ક્રીનમાંથી નીકળતો બ્લુ લાઇટ મેલાટોનિન હોર્મોનના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આ હોર્મોન શરીરના ડીએનએને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે. સતત ઓછી ઊંઘ અથવા ખરાબ ઊંઘની આદત સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે છે.

દિવસભર એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાની આદત પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. સંશોધન મુજબ, સતત ઘણા કલાકો સુધી બેસવાથી શરીરમાં ચરબી, સોજો અને હોર્મોનલ અસંતુલન વધી શકે છે, જે કેન્સરનું જોખમ વધારે છે. નિયમિત કસરત કરતા લોકો માટે પણ લાંબા સમય સુધી બેસી રહેવું જોખમી સાબિત થઈ શકે છે.

પ્રોસેસ્ડ માંસનું વધુ પ્રમાણમાં સેવન પણ આરોગ્ય માટે હાનિકારક ગણાય છે. સોસેજ, બેકન અને પેકેટમાં મળતા પ્રોસેસ્ડ માંસમાં નાઈટ્રાઈટ્સ અને અન્ય હાનિકારક રસાયણો હોય છે, જે કોલોરેક્ટલ અને પેટના કેન્સર સાથે જોડાયેલા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ પ્રોસેસ્ડ માંસને કાર્સિનોજેન તરીકે જાહેર કર્યું છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તાજું અને સ્વચ્છ ખોરાક પસંદ કરવો જોઈએ.

ખૂબ ગરમ ચા, કોફી અથવા અન્ય પીણાં પીવાની આદત પણ જોખમી બની શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 65 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ પીણાં નિયમિત રીતે પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી શકે છે. વધુ ગરમ પ્રવાહી ગળા અને અન્નનળીની અંદરની સપાટીને નુકસાન પહોંચાડે છે.

પ્લાસ્ટિકમાં પેક કરેલા ખોરાકને સીધા માઇક્રોવેવમાં ગરમ કરવું પણ આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. પ્લાસ્ટિકમાંથી BPA અને phthalates જેવા રસાયણો બહાર આવી શકે છે, જે શરીરના હોર્મોનલ સંતુલનને અસર કરે છે. લાંબા ગાળે આ રસાયણો કેન્સર સહિત અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે.

અતિશય તણાવ પણ શરીર પર ખરાબ અસર કરે છે. સતત તણાવમાં રહેવાના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શરીરમાં સોજો વધે છે. આવી સ્થિતિ કેન્સરના કોષોને વિકસવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકે છે. તેથી માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

ઘણા લોકો સૂર્યપ્રકાશમાં બહાર જતા સમયે સનસ્ક્રીનનો ઉપયોગ કરતા નથી, પરંતુ આ બેદરકારી ત્વચાના કેન્સરનું જોખમ વધારી શકે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાના ડીએનએને નુકસાન પહોંચાડે છે, જેના કારણે બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને મેલાનોમા જેવા કેન્સર થઈ શકે છે. નિયમિત સનસ્ક્રીનનો ઉપયોગ ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, સંતુલિત આહાર લેવો, નિયમિત કસરત કરવી અને ખરાબ આદતોથી દૂર રહેવું કેન્સર જેવા ગંભીર રોગોથી બચવા માટે ખૂબ જરૂરી છે. નાના ફેરફારો પણ લાંબા ગાળે મોટા ફાયદા આપી શકે છે.