
ગામડાથી લઈને શહેર સુધી BSNLનું સિમ ખરીદવું બન્યું સાવ સરળ; જાણો પોસ્ટ ઓફિસમાં કેવી રીતે થશે KYC અને શું છે સરકારી કંપનીનો માસ્ટર પ્લાન?

ટેલિકોમ સેક્ટરમાં ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ આક્રમક પ્લાનિંગ કર્યું છે. કંપનીએ તેના સિમ કાર્ડના વેચાણને વેગ આપવા માટે ભારતના સૌથી મોટા નેટવર્ક એટલે કે પોસ્ટ ઓફિસ (ટપાલ વિભાગ) નો સહારો લીધો છે. BSNL અને ટપાલ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ (MoU) મુજબ, હવે દેશની વિવિધ પોસ્ટ ઓફિસો પરથી BSNL ના સિમ કાર્ડ ખરીદી શકાશે અને રિચાર્જ પણ કરાવી શકાશે.

ગામડાના ગ્રાહકોને થશે સૌથી વધુ ફાયદો: ખાનગી કંપનીઓના સ્ટોર્સ મોટાભાગે શહેરો પૂરતા મર્યાદિત હોય છે, જ્યારે પોસ્ટ ઓફિસની પહોંચ ભારતના દરેક છેવાડાના ગામ સુધી છે. BSNL ના આ નિર્ણયથી ગ્રામીણ અને નાના નગરોના લોકો માટે નવું કનેક્શન લેવું અત્યંત સુવિધાજનક બની જશે. સિમ કાર્ડના વિતરણ માટે પોસ્ટ ઓફિસ એક મજબૂત ચેનલ તરીકે કામ કરશે, જેનાથી કંપનીના ગ્રાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

KYC પ્રક્રિયા રહેશે અનિવાર્ય: પોસ્ટ ઓફિસમાંથી સિમ કાર્ડ લેતી વખતે ગ્રાહકોએ સામાન્ય પ્રક્રિયા મુજબ જ KYC (Know Your Customer) કરાવવું પડશે. આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે ગ્રાહકો સ્થળ પર જ વેરિફિકેશન કરાવીને નવું સિમ કાર્ડ મેળવી શકશે.

ટેલિકોમ માર્કેટમાં જિયો અને એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓ સામે ટકી રહેવા માટે BSNL નો આ 'પોસ્ટ ઓફિસ પ્લાન' કેટલો સફળ સાબિત થાય છે તે જોવું રહ્યું. પરંતુ એટલું ચોક્કસ છે કે, હવે ગ્રાહકો માટે BSNL નેટવર્ક સાથે જોડાવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે.