
દેશમાં ત્રણ નવા કાયદા લાગુ થયાના બે વર્ષ પૂર્ણ થવા પર ગૃહ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક એવિડન્સ ઇન્વેસ્ટિગેશન પર મોટો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2027 થી દેશભરમાં પોલીસ દ્વારા ડિજિટલ ઇન્વેસ્ટિગેશનની વ્યવસ્થા કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ ન્યાયિક પ્રણાલીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

1 જાન્યુઆરી 2027 થી દેશભરના સંબંધિત પોલીસ સ્ટેશનોમાં આનું ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવામાં આવશે. કેસમાં આ ઇલેક્ટ્રોનિક ડિજિટલ ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર (FIR) નોંધવાર્થી લઈને ચાર્જશીટ દાખલ કરવા સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 1 જુલાઈ 2024 ના રોજ ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) લાગુ કરવામાં આવ્યા હતા. 1 જુલાઈ 2026 ના રોજ આ કાયદાઓએ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કર્યા છે. આ કાયદાઓએ અંગ્રેજોના સમયના IPC, CrPC અને Evidence Act નું સ્થાન લીધું છે.

નવા કાયદા લાગુ કરવામાં આ રાજ્યો ટોપ પર: નવા કાયદા લાગુ થયાના બે વર્ષ બાદ હરિયાણા, ગોવા, આસામ, ચંદીગઢ અને પંજાબ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા કાયદા આવ્યા બાદ કેસની તપાસનો સરેરાશ સમય 25 ટકા જેટલો ઘટી ગયો છે. હવે ખૂબ જ સરળતાથી 'ઝીરો એફઆઈઆર' નોંધવામાં આવી રહી છે અને મોટાભાગની એફઆઈઆર ડિજિટલ માધ્યમથી થઈ રહી છે.

કેસની ટાઈમલાઈન થઈ સેન્ટ્રલાઈઝ: હવે કાયદાકીય સમયમર્યાદા (ટાઈમલાઈન) મુજબ જ તપાસ આગળ વધી રહી છે અને કેસની ટાઈમલાઈન સેન્ટ્રલાઈઝ થઈ ગઈ છે. સાયન્ટિફિક અને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન સંપૂર્ણપણે લાગુ થઈ ગયું છે. સમગ્ર ન્યાય સંહિતાનું અમલીકરણ નાગરિક કેન્દ્રિત (Citizen Centric) બની ચૂક્યું છે.

બે વર્ષમાં 74.66 લાખ FIR નોંધાઈ: માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં દેશમાં 74.66 લાખ એફઆઈઆર નોંધાઈ છે. 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો દર છેલ્લા બે વર્ષમાં 50 ટકાથી વધીને 67 ટકા થઈ ગયો છે. આ સિવાય, જાતીય ગુનાઓ (યૌન અપરાધો) માં ચાર્જશીટ દાખલ કરવાનો દર આ બે વર્ષોમાં 44 ટકાથી વધીને સીધો 75 ટકા પર પહોંચી ગયો છે.