
લીલા શાકભાજીનો ઉલ્લેખ થતાં જ આપણા મગજમાં સૌથી પહેલા 'ભીંડા' નું નામ જ આવે છે. ભારતના લગભગ દરેક ઘરમાં પસંદ કરવામાં આવતું આ શાક માત્ર તેના અનોખા સ્વાદ અને ઝડપથી બની જવાની શૈલી માટે મશહૂર નથી પરંતુ તે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ એક ઉત્તમ વિકલ્પ છે. એમાંય પછી ભલે તે 'ભરેલા ભીંડા' હોય, ડુંગળી સાથે બનેલ સાડા 'ભીંડા' હોય અથવા તો સીંગદાણા અને મસાલા સાથે શેકેલ સૂકા ભીંડાનું શાક હોય, દરેક રીતે તે લાજવાબ લાગે છે.

એવામાં મોટાભાગના લોકોને ખબર નથી કે, ભીંડા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ભીંડા એ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં વિટામિન C, A, K, બી-કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળી આવે છે. જો તમે ભીંડાનું નિયમિતપણે સેવન કરો છો, તો તે ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે.

ભીંડામાં દ્રાવ્ય (Soluble) અને અદ્રાવ્ય (Insoluble) બંને પ્રકારના ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, ભીંડામાં રહેલું 'મ્યુસિલેજ' (ચીકણો પદાર્થ) પાચનનળીને મુલાયમ બનાવે છે અને આંતરડાંની સફાઈ કરવામાં મદદ કરે છે. આનાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી તરત જ રાહત મળે છે.

ખરાબ પાચનના કારણે પેટમાં ગેસ અને ભારેપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. ભીંડાનું ફાઇબર આંતરડાંની હલનચલનને વધારે સરસ બનાવે છે, જેનાથી આહાર સરળતાથી પચે છે અને ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. ભીંડા એક ઉત્તમ 'પ્રીબાયોટિક' તરીકે કામ કરે છે. તે આંતરડાંમાં રહેલા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. બીજું કે, જ્યારે ગટ બેક્ટેરિયાનું સંતુલન સુધરે છે, ત્યારે પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ આપોઆપ ઠીક થવા લાગે છે.

ભીંડામાં 'પેક્ટિન' નામનું તત્વ હોય છે, જે શરીરમાં જમા થયેલા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી ધમનીઓમાં બ્લોકેજનું જોખમ ઘટે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓથી બચાવ થાય છે.