
ભારતનો પોતાનો વ્હીકલ સેફ્ટી ટેસ્ટિંગ પ્રોગ્રામ 'ભારત NCAP' (Bharat New Car Assessment Program) દેશમાં એક મોટી સફળતા તરીકે ઉભરી આવ્યો છે. હવે આ કાર્યક્રમનો બીજો તબક્કો ટૂંક સમયમાં અમલમાં લાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે, આ સફળતા માત્ર સરકારી પ્રયાસોને લીધે નહીં પરંતુ ઓટો ઇન્ડસ્ટ્રીના સહયોગ અને તાલમેલથી શક્ય બની છે. ભારત NCAP ને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે અને મોરોક્કોમાં તેને વૈશ્વિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

11 કંપનીઓના 30થી વધુ મોડલ સર્ટિફાઇડ થયા: અત્યાર સુધીમાં ભારત NCAP હેઠળ દેશની 11 કાર નિર્માતા કંપનીઓના 30થી વધુ મોડલનું સુરક્ષા સર્ટિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કાર્યક્રમથી વાહનોના ટેસ્ટિંગના ખર્ચ અને સમય બંનેમાં જંગી ઘટાડો થયો છે: ખર્ચમાં 75% નો ઘટાડો: ગ્લોબલ NCAP હેઠળ એક મોડલના ટેસ્ટિંગ પાછળ આશરે ₹2.5 કરોડનો ખર્ચ થતો હતો, જ્યારે ભારત NCAP હેઠળ આ ટેસ્ટિંગ માત્ર ₹60 લાખમાં થઈ જાય છે. ઓછા ખર્ચ અને સ્થાનિક સુવિધાના કારણે હવે ઘણી વિદેશી ઓટો કંપનીઓ પણ પોતાના વાહનોનું સેફ્ટી ટેસ્ટિંગ કરાવવા માટે ભારત મોકલી રહી છે.

નિકાસ (એક્સપોર્ટ) માર્કેટમાં પણ મોટો ફાયદો: ભારત NCAP દ્વારા વાહનોના સુરક્ષા માપદંડો વધુ પારદર્શક અને કડક બન્યા છે. આનાથી ભારતમાં બનેલા વાહનોની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના પરિણામે ગ્લોબલ માર્કેટમાં ભારતીય ગાડીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતનું ઓટો એક્સપોર્ટ સતત વધી રહ્યું છે.

ઓક્ટોબર 2027થી અમલમાં આવશે Bharat NCAP 2.0: હવે સરકાર આ પ્રોગ્રામનું નવું વર્ઝન Bharat NCAP 2.0 લાવવા પર કામ કરી રહી છે, જે ઓક્ટોબર 2027 થી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ નવા સેફ્ટી પ્રોગ્રામમાં માત્ર અકસ્માત વખતે કારની અંદર બેઠેલા મુસાફરોની સુરક્ષા જ નહીં, પરંતુ સમગ્ર સુરક્ષા સાયકલ (Safety Chain) ની ચકાસણી કરવામાં આવશે: અકસ્માતને થતો અટકાવવો (Active Safety). વાહનમાં બેઠેલા મુસાફરોનું રક્ષણ. રાહદારીઓની સલામતી (Pedestrian Safety). અકસ્માત પછી મુસાફરોને વાહનમાંથી સુરક્ષિત બહાર કાઢવા અને તાત્કાલિક મેડિકલ સંભાળના પાસાઓ.

માર્ગ અકસ્માતો ઘટાડવા એ દેશ માટે સૌથી મોટો પડકાર: સરકારે માર્ગ અકસ્માતોને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. દેશમાં દર વર્ષે આશરે 5 લાખ રોડ અકસ્માતો થાય છે, જેમાં લગભગ 1.80 લાખ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ મૃત્યુ પામનારાઓમાં 18 થી 36 વર્ષની વયજૂથના યુવાનોની હિસ્સેદારી આશરે 66% જેટલી છે.આ દુર્ઘટનાઓ ઘટાડવા માટે અદ્યતન ટેકનોલોજી, ભારતીય સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક બેસ્ટ પ્રેક્ટિસિસને Bharat NCAP 2.0 માં સામેલ કરવામાં આવશે. આ માટે ઓટો ઇન્ડસ્ટ્રી અને સંશોધન ટીમો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે.