
અમિત શાહે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં રમતગમત ક્ષેત્રે અભૂતપૂર્વ સુધારા થયા છે. 2014-15માં રમતગમત બજેટ રૂ. 1,643 કરોડથી વધારીને રૂ. 5,300 કરોડ કરવામાં આવ્યું છે. ખેલો ઈન્ડિયા સેન્ટરો, રાજ્ય શ્રેષ્ઠતા કેન્દ્રો અને એથલિટ અકાદમીઓની સ્થાપના કરવામાં આવી છે. ખેલાડીઓને ઈજા વ્યવસ્થાપન, પોષણ અને તાલીમની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

નવી રમત નીતિના પાંચ માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતને વૈશ્વિક મંચ પર અગ્રણી બનાવવું, રમતગમતને આર્થિક વિકાસમાં યોગદાન આપનાર ક્ષેત્ર બનાવવું, રમતગમત દ્વારા સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવું, રમતગમતને જન આંદોલન બનાવવું અને રમતગમતને શિક્ષણ સાથે સંકલિત કરવું સામેલ છે. આ સિદ્ધાંતોના માધ્યમથી રમતને માત્ર શારીરિક કસરત પૂરતું મર્યાદિત ન રાખીને તેને રાષ્ટ્રીય વિકાસ અને સર્વાંગી પ્રગતિનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવા પર ભાર મુકાયો છે.

1948થી 2012 વચ્ચે ભારતે ફક્ત 20 ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. જ્યારે 2012થી 2020 દરમિયાન 15 ઓલિમ્પિક મેડલ અને 52 પેરાલિમ્પિક મેડલ મેળવવામાં સફળતા મળી હતી. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) હેઠળ ખેલાડીઓને નાણાકીય સહાય અને તાલીમ ઉપલબ્ધ કરવામાં આવી છે.