તાજેતરમાં યુરોપિયન યુનિયન દ્વારા મોબાઇલ ચાર્જિંગનું Standardization કરવામાં આવ્યું છે ત્યારબાદ ભારત સહિત અન્ય દેશોમાં પણ આવા નિયમો લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે આવતા વર્ષ સુધીમાં મોબાઇલ ઉપકરણો માટે USB C ચાર્જિંગ પોર્ટને સ્ટાન્ડર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નવા અહેવાલો અનુસાર સરકારે આ ફેરફાર માટે સમયમર્યાદા પણ નક્કી કરી છે જે દેશના તમામ ઉત્પાદકો પર નિયમો લાગુ કરશે અને ડિફોલ્ટ વિકલ્પ તરીકે લેટેસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ ફરજિયાત બનાવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ફેરફારની સમયમર્યાદા માર્ચ 2025 થી જૂન 2025 સુધી સુધારવામાં આવી છે. યુરોપિયન યુનિયનના નિર્ણયની જેમ ભારત પણ ઇચ્છે છે કે USB C મોબાઇલ ઉપકરણો માટે સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ બનાવશે. આ સિવાય સરકાર સ્માર્ટફોન અને ટેબલેટને ચાર્જ કરવા માટે વપરાતા કેબલને પણ સ્ટાન્ડર્ડ કરવા માંગે છે. હજુ સ્માર્ટવોચ અને વાયરલેસ ઓડિયો ગિયર જેવી વેરેબલ્સ જેવી કેટેગરીઝ પર કોઈ વાત કરવામાં આવી નથી.
સરકારનો ઉદ્દેશ્ય ઈ-વેસ્ટ ઘટાડવાનો છે. આ પરિવર્તન પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય દેશમાં ઈ-વેસ્ટની સમસ્યાને ઓછી કરવાનો છે જે હવે વૈશ્વિક મુદ્દો બની ગયો છે. તેના ફેલાવાને રોકવા માટે કડક આદેશોની ખૂબ જ જરૂર છે.
દરમિયાન આ નિર્ણયથી ફીચર ફોન સેગમેન્ટને રાહત મળે તેવી શક્યતા છે. હકીકતમાં, લાખો લોકો માટે ઓછી કિંમતના ફોનની કિંમતમાં વધારો તેમની આજીવિકાને અસર કરી શકે છે અને તેમને મોંઘા 4G ફોન ખરીદવા દબાણ આવી શકે છે.